છત્રપતિ શિવાજી મહારાજ ની મૂર્તિ સાથેનો ફલોટ્સ તેમજ ઘોડેશ્વાર શિવાજી મહારાજ ને નગર ભ્રમણ કરાવાયું

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત શ્રી ગણેશ મરાઠા મંડળ- ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની શિવાજી જયંતિ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ગઈકાલે રવિવારના સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી, અને નગર ભ્રમણ કર્યું હતું.

 જેમાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાયો હતો, તેમ જ ઘોડેશ્વાર શિવાજી મહારાજની ની વેશભૂષામાં શ્રી ગણેશ મરાઠા મંડળના પ્રમુખ રાજુભાઈ જગદાળે જોડાયા હતા અને ઘોડેશ્વર થઈને નગર ભ્રમણ કર્યું હતું. આ વેળાએ ગણેશ મરાઠા મંડળના પરિવારના બહેનો બાળકો પણ સુંદર આકર્ષક વેશભૂષા ધારણ કરીને શિવાજીની નગરયાત્રામાં જોડાયા હતા, અને નગર ભ્રમણ કર્યું હતું.

 જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ ઉજવણી ના ભાગરૂપે ગઈકાલે રવિવારના દિવસે ૩૯૬મી શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે સાંજે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નો પ્રારંભ કરાયો હતો,

અને ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજાર વિસ્તારમાં પરિપૂર્ણ થઇ હતી. જેમાં શ્રી ગણેશ પરાઠા મંડળ ના સભ્યો ઉપરાંત અન્ય નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

સપડાના ડુંગર પરથી ૨૨ કી.મી. લાંબી શિવ જ્યોત યાત્રા યોજાઈ

જામનગરના શ્રી ગણેશ મરાઠા મંડળ  દ્વારા શિવાજી જયંતિ ની ઉજવણીના ભાગરૂપે સપડા ગણેશ મંદિર ની પાસે જ આવેલા મહાકાળી માતાજીના મંદિરેથી શિવ જ્યોત પ્રગટાવીને ૨૨ કિલોમીટર લાંબી 'શિવ જ્યોત યાત્રા' પણ યોજવામાં આવી હતી. શિવજ્યોતને પગપાળા ચાલીને જામનગર સુધી લાવવામાં આવી હતી, અને જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે તૈયાર કરાયેલા મંડપ સામીયાણામાં શિવજ્યોત યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્યાં આરતી પણ થઈ હતી. ત્યારબાદ શિવાજી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.