જામનગર મોર્નિંગ - જામનગર


આ વાત છે જામનગર જિલ્લાના જામ જોધપુર ગામની. અહીં તા.૨૯ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી સુધી ગુરુ વંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં કથા સાંભળવા મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે. તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ જ્યારે સમગ્ર માહોલ કથામય હતો અને સભાખંડથી થોડી જ દુરી પર પ્રસાદી લેવા માટેના કાઉન્ટરો લાગ્યા હતા, ત્યાં અચાનક મુખ્ય દરવાજા પરથી ચેન ચોરાયાની બુમ પડી. બુમ સાંભળતાં જ દરવાજા પાસે સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપતાં પ્રતિમાબેન જાનીની નજર ચેન ચોરનાર બેન પર જતા જ તેને પકડી પાડતા તેણે ભાગી છુટવા માટે ઝપાઝપી કરી હતી.પરંતુ પ્રતિમાબેને હિંમતભેર સામનો કરી એ મહિલાને ઝડપી લીધી.ત્યારબાદ એ મહિલાને અલગ રૂમમાં લઇ ગયા જયાં વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે તેની સાથે અન્ય બહેનો પણ હતી અને તેઓની યોજના આયોજનબદ્ધ હતી. આ સમગ્ર બનાવ પછી પોલીસને બોલાવી તેને સોંપી દેવામાં આવ્યા.

તે પછી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા વધુ વિગત જાણવા મળી અને તેમણે આખો ઘટનાક્રમ બતાવ્યો અને જાણવા મળ્યું કે, તે  ૧૫ લોકોની ટોળકી છે જે રાજસ્થાનથી ગુજરાતમાં ચોરીના ઈરાદાથી આવેલ છે. જામજોધપુર પોલીસે જામનગર એલસીબી ને જાણ કરી હતી અને તેઓને કુલ ૧૭ લાખ ૫૫ હજાર ૫૦૦ રૂપિયાના મુદ્દા માલ સાથે પૂરી ટોળકીને ઝડપી પાડી હતી.જામજોધપુર પોલીસ અને એલસીબી જામનગરે પોતાની ટીમ સાથે તરત જ એક્શન લઈને આવા અન્ય કિસ્સા થતા અટકાવ્યા હતા.અને ગુનાહિત કૃત્યો આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો.જે સમગ્ર ઘટનાના મૂળમાં ક્યાંકને ક્યાંક પ્રતિમાબેન જાની નિમિત્ત બન્યા હતાં.પ્રતિમાબેન જાની પોતે ૫૦ વર્ષના હોવા છતાં પણ પોતાની સમયસૂચકતા અને હિંમતને કારણે પ્રજાહિતનું અને સમાજસેવાનું કાર્ય પાર પાડ્યું હતું. 

પ્રતિમાબેન જાનીના જણાવ્યા મુજબ,"કોઈપણ સેવાકાર્ય કરીએ તો ભગવાન આપણને સાથ આપે જ છે. આપણે ડર્યા વગર મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.હિંમત અને સદકાર્યો કરવા માટે ઉંમરને કોઈ લેવાદેવા નથી." ખરેખર, પ્રતિમાબેન જાની પાસેથી સમાજે ઘણું શીખવા જેવું છે, જેથી સમાજને નુકશાન પહોંચાડનાર તત્વો પણ આવા કૃત્યો કરતાં અનેક વાર વિચારે.