જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષના એક અપરણિત સતવારા યુવાન આજરોજ સવારે દ્વારકા હાઈવે પર પદયાત્રીઓની સેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે ટ્રેક્ટરમાંથી પટકાઈ પડતા ઇજાગ્રસ્ત હાલતમાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત મુજબ ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા નિલેશ ધનજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના આશરે 25 વર્ષના આજરોજ સવારે આશરે અગિયારેક વાગ્યાના સમયે એક ટ્રેક્ટરમાં ડી.જે. લઈ અને દ્વારકા હાઈવે માર્ગ પર પદયાત્રી સેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાથી આશરે 15 કી.મી. દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે ટ્રેક્ટરમાંથી ઉતરતી વખતે અકસ્માતે પટકાઈ પડતા તેના ટ્રેલરનું તોતિંગ વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. જેથી આ વિસ્તારના લોકો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી અને તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો.

આશાસ્પદ યુવાનના આ પ્રકારે અકસ્માતે મૃત્યુના સમગ્ર બનાવે મૃતકના પરિવારજનો સાથે સમગ્ર સતવારા સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.