જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા મોમાઈ માતાના મંદિર પાસેથી સોમવારે રાત્રે દિગ્વિજય પ્લોટ-૪૬માં રહેતો જેકી ચુડાસમા, કરણ સોલંકી તથા અજાણ્યા શખ્સોએ હરપાલ નામના યુવાન સાથે બોલાચાલી કરી હતી. આ વેળાએ ત્યાં આવેલા હરપાલના મિત્ર બ્રિજરાજસિંહે વચ્ચે પડી સમાધાનનો પ્રયત્ન કર્યો હતો. આ વેળાએ ઝઘડો વધી પડતા જેકી તથા તેના સાગરિતોએ બ્રિજરાજને ગાળો ભાંડી છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજા પામેલા બ્રિજરાજને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે શંકર ટેકરીના શાસ્ત્રીનગરમાં રહેતા મૂળરાજસિંહ જેઠવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના ભત્રીજા બ્રિજરાજના મિત્ર હરપાલને એક યુવતી સાથે બોલવાનો સંબંધ હોય તેની જાણકારી યુવતીના પરિવારના જેકી ચુડાસમાને મળતા સોમવારે રાત્રે હરપાલ સાથે ઉપરોક્ત શખ્સો ઝઘડો કરતા હતા. જેમાં બ્રિજરાજ વચ્ચે પડતા તેના પર હુમલો કરાયો છે.
0 Comments
Post a Comment