એનડીએના નારાજ સાથી શિવ સેનાએ સામનાના તંત્રીલેખમાં પીએમ મોદીને ટાંકીને ધારદાર હુમલાઓ કર્યા
જામનગર મોર્નિંગ - મુંબઈ 
એનડીએના સહયોગી દળ શિવ સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મામલે ધારદાર પ્રહાર કર્યો છે. સેના અને ભાજપ વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ખટરાગ વધ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત અને ટેલિફોનિક વાતચીત છતા પણ બન્ને વચ્ચે તડાં યથાવત્ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શિવસેનાએ રાફેલ મુદ્દે પ્રહાર કરતા સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ રાફેલ સોદો કોને લાભ કરાવવા માટે કર્યો છે વાયુસેનાને કે દેવામાં ફસાયેલા ઉદ્યોગપતિને. 
ધ હિન્દુ અખબારના અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયના સચિવની ટિપ્પણીની વિગતો જાહેર થયા બાદ ઉઠેલા વિવાદના વંટોળમાં હવે શિવ સેનાએ પણ ઝંપલાવ્યું છે. શિવસેનાએ તેમના માઉથપીસ સામાનાના તંત્રીલેખમાં પીએમ પર વાર કર્યો હતો. શિવ સેનાએ જણાવ્યું કે, ‘મોદીએ ગુરુવારે સંસદમાં દેશભક્તિની વાતો કરી અને રાફેલ સોદાનો બચાવ કર્યો. પરંતુ બીજા જ દિવસે એક દસ્તાવેજ બહાર આવ્યો અને દેશભક્તિના સૂત્રો ઉચ્ચારનારા તેમજ સંસદમાં પાટિયા થપથપાવનારાના મોઢે તાળા લાગી ગયા.’
શિવસેનાએ કોઈ ઉદ્યોગપતિનું નામ લીધા વગર સવાલ કર્યો કે મોદીએ જવાબ આપવો જોઈએ કે તેમણે વાયુસેનાને મદદ કરવા રાફેલ સોદો કર્યો કે ફસાયેલા ઉગ્યોગપતિને લાભ કરાવવા આ કરાર કર્યો છે.
રાહુલ દ્વારા પીએમ પર રાફેલ મામલે સતત હુમલાના સંદર્ભમાં શિવ સેનાએ જણાવ્યું કે, આના માટે વિપક્ષને દોષ શા માટે આપવો જોઈએ. વિપક્ષ તો વિખેરાશે (રાજકીય રીત) પરંતુ સત્ય હંમેશા પ્રવર્તશે.   

રાષ્ટ્રીય સુરક્ષા મામલે સવાલો ઊભા કરવા તે દેશની ટિકા કઈ રીતે કહી શકાય તેવો વેધક સવાલ પણ શિવ સેનાએ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ ટોણો મારતા જણાવ્યું કે, ‘ભાજપના વર્તમાન શાસનમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જે લોકો રાફેલના ગુણગાન ગાય છે તે દેશભક્ત અને જે લોકો સવાલ કરે છે તેમને દેશદ્રોહી કહેવાય છે.’