• પેટ્રોલ પંપ સંચાલક આંગડીયા થી પંપે પૈસા લઇ જતા હતા ત્યારે બનાવ બન્યો.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.30 : ભાણવડ - જામનગર રોડ ભાણવડના ત્રણ પાટીયા નજીક ધોળા દિવસે પેટ્રોલ પંપ સંચાલકને થોભવીને નવ લાખ જેવી માતબર રકમની લૂંટ ચલાવીને ત્રણ બુકાનીધારીઓ રફુચકર થઇ ગ્યાના બનાવથી પંથકમાં હાહાકાર મચી ગયો બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે એલ. સી. બી. અને એસ. ઓ. જી. પણ જોડાઈને જીલ્લા ભરમાં નાકા બંધી કરીને સઘન તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભાણવડના નામાંકિત વકીલ ગિરધરભાઈ વાઘેલાના પુત્ર પાર્થ ભાણવડ આંગડીયા પેઢીમાંથી રૂપિયા 9-10 લાખ રોકડા ઉપાડીને બપોરના એક વાગ્યાં આસપાસ ભાણવડથી 11 કિમિ દૂર પોતાના પેટ્રોલ પંપ પર મોટર કાર મારફત જઈ રહ્યા હતા એ દરમિયાન ભાણવડથી 5-6 કિમિ દૂર ત્રણ પાટીયા પાસે ત્રણ બુકાનીધારીઓ એ આડા ફરી મોટર રોકાવીને છરીની અણીએ ચાલકને દબાવીને રૂપિયા ભરેલ થેલો અને સાથે મોટરની ચાવી પણ લઈને રફુચક્કર થઇ ગયા હતા. ભાણવડથી જામનગર - જામજોધપુર જતો આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો અને રોડની બંને સાઈડ ખેતરો આવેલા છે અને તમામ દિશામાં નજીકમાં જ પોલીસ ચેકપોસ્ટ અને પોલીસ સ્ટેશન આવેલા છે ત્યારે આ બનાવથી હાહાકારની સાથે લોકોને વિચારતા પણ કરી દીધા છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે એલ. સી. બી. અને એસ. ઓ. જી. એ જીલ્લા ભરમાં નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી છે. બનાવની 8-9 કલાક વીતવા છતાં હજુ આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રીના 9 વાગ્યાં સુધી કોઈ સગડ મળ્યા નથી.