સ્થળ પર જ ટેલિફોનિક તેમજ લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બનતાં મંત્રી મુળુભાઈ બેરા

જામનગર મોર્નિંગ - દ્વારકા 

રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ભાણવડ સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કેબિનેટ મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં ભાણવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેબિનેટ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે, તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.