જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર સ્થિત રાષ્ટ્રીય આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનના સ્વસ્થવૃત્ત તથા યોગ વિભાગના સિનિયર પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ્ટ ને સંગીતમય ઉપચાર' પધ્ધતિના જ્ઞાતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્તાની સંગીતના વિવિધ ઘરાનાઓ પૈકી ગુજરાતના એકમાત્ર સંગીત ઘરાના તરીકે સુવિખ્યાત આદિત્ય ઘરાના ના ઉપાસકો અને સંગીતમ્ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય નાટ્ય-સંગીત અકાદમીના સહયોગથી જામનગરમાં યોજાયેલા પં. આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવ કાર્યક્રમમાં સંગીત થકી દર્દીઓની સુશ્રૂષા (મ્યૂઝિક થેરાપી) ની સેવાના યશોગાન ગવાયા હતા. આ ક્ષેત્રે 'ઘરનાં છોરાં' ડૉ. અર્પણ ભટ્ટજી નું નામ શિરમોર હોઈ તેઓને સન્માનિત કરાયા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય શાસ્ત્રીય સંગીતની ઘરાના પરંપરામાં ગુજરાતના એકમાત્ર આદિત્ય ઘરાનાના સર્જક જામનગરના રાજસંગીતકાર પંડિત આદિત્યરામજી ૨૦૩ વર્ષ પહેલાં થઈ ગયા. વૈદ્ય અર્પણ ભટ્ટજી સંગીતના વાદન ક્ષેત્રના સંવાહક તથા સંવર્ધક રહ્યા છે. આયુર્વેદ હોસ્પિટલમાં તબીબ અને પ્રાધ્યાપકની ફરજની સાથોસાથ તેઓએ સંગીત કળાને  કાર્યરત રાખી ઉપચાર પદ્ધતિમાં અમલી બનાવી શ્રેષ્ઠતમ પરિણામો હાંસલ કર્યા છે. 

વૈદ્ય અર્પણ ભટ્ટનાં આ ઉત્તમોત્તમ કલા-કૌશલ્યનાં સન્માન પ્રત્યે આઈ.ટી.આર.એ. ના નિયામક ડો. અનૂપ ઠાકર સહિતના અધિકારી વર્ગે ભૂરી ભૂરી અનુમોદના વ્યક્ત કરી છે.