જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં ગુરૂવારની સવારે બિપરજોય વાવાઝોડું ત્રાટકે અથવા દરિયાકાંઠાને સ્પર્શીને જતું રહે તેવી જોવાઈ રહેલી શકયતા વચ્ચે તંત્ર સાબદુ બન્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરે જામનગર ચેમ્બર તેમજ તેની સાથે સંલગ્ન એસોસિએશનને બુધવાર તથા ગુરૂવારના દિવસોએ ઉત્પાદક યુનિટો અને વ્યાપાર-ધંધા સ્વૈચ્છાએ બંધ રાખવા અનુરોધ કર્યાે છે.

જામનગરમાં વાવાઝોડું ત્રાટકે તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સાવચેતી વરતવામાં આવી રહી છે. ત્યારે જો ગુરૃવારે આ વાવાઝોડું જામનગરના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ જાય તો પણ બુધવાર તથા ગુરૂવારે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. તે દરમિયાન જામનગરના કલેક્ટર બી.એ. શાહ દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ તેની સાથે સંલગ્ન એસોસિએશનને જણાવ્યું છે કે, આ બે દિવસ દરમિયાન કામદારો તથા ઉદ્યોગગૃહોની સલામતીને ધ્યાને રાખીને બુધવાર તથા ગુરૃવારના દિવસો જિલ્લાભરના ઉત્પાદક યુનિટો તેમજ અન્ય વેપાર-ધંધા  સ્વૈચ્છાએ બંધ રાખવામાં આવે તો તંત્રને વધુ સહકાર મળી શકે તેમ છે. 









.