• ૬૩૨ વિજ પોલ તેમજ ૧૯ ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થવાના કારણે વિજ તંત્રને ૧ કરોડ ૨૩ લાખનું નુકસાન

જામનગર મોર્નિંગ - જામનગર 

હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર રવિવારથી જોવા મળી હતી, અને બન્ને જિલ્લાના ૩૭૫ ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવન ને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ૩૪૧ ગામમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો છે, જ્યારે ૩૪ ગામોમાં સમારકામ ની પ્રક્રિયા ચાલી રહી છે. ૪ દિવસ દરમિયાન કુલ ૬૧૨ વિજ થાંભલાઓ પડી ગયા છે, જ્યારે ૧૯ વિજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થયા છે જેના કારણે ૧ કરોડ ૨૩ લાખની નુકસાની થઈ છે.

વિજ તંત્ર દ્વારા ગત રવિવારે સાંજથી જ તોફાની પવનના કારણે થયેલી નુકસાની ની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને યુદ્ધના ધોરણે સમારકામની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારબાદ આજ ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો, સતત ૪ દિવસથી તોફાની વંટોળિયો પવન ફૂંકાઇ રહ્યો છે, અને અનેક વિજ પોલ ભાંગી ગયા હતા. 

હાલારના બંને જિલ્લામાં કુલ ૩૭૫ ગામોમાં વિજ વિક્ષેપ સર્જાયો હતો જે પૈકી ૩૪૧ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત બની ગયો છે, જ્યારે હજુ ૩૪ ગામોમાં સમાર કામની પ્રક્રિયા ચાલી રહી છે.

 બંને જિલ્લામાં ૬૩૨ વિજ ફીડરો ઇફેક્ટેડ થયા હતા, જે પૈકી ૩૦૪ ફીડર કાર્યરત થઈ ગયા છે, જ્યારે ૩૨૮ ફીડરમાં સમારકામની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

ચારેય દિવસો દરમિયાન સમગ્ર હાલાર ના બન્ને જિલ્લામાં કુલ ૬૧૨ વિજ પોલ ડેમેજ થઈ ગયા છે, જ્યારે ૧૯ ટ્રાન્સફોર્મર ભાંગીને જમીન પર પટકાયા છે. જેથી અંદાજે બન્ને જિલ્લામાં ૪ દિવસ દરમિયાન ૧ કરોડ ૨૩ લાખનું નુકસાન થયું હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર શ્રી એલ.કે. પરમાર જાતે જ જુદા જુદા વિસ્તારોમાં નુકસાની ને લઈને અન્ય વિજ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ફોજ સાથે તમામ સ્થળે પહોંચ્યા હતા, અને યુદ્ધના ધોરણે વિજ પુરવઠો કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. આજે પણ પીજીવીસીએલની ૧૪૫ ટીમો વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે દોડધામ કરી રહી છે.









.