શાપર ગામના યુવાનનું અને મોરીદળમાં આધેડનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગરના શાપર અને કાલાવડના મોરીદળ ગામે રહેતા બે વ્યક્તિના વીજશોક લાગવાથી મોત નિપજતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ આરંભી છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના શાપર ગામના પાટિયા પાસે આવેલી સિક્કાના મહંમદ અમસુલભાઈ શેખની પંકચર કરવાની દુકાનમાં કામ કરતા બિહારના જંદારા તાલુકાના રહેવાસી અનવરભાઈ સતારભાઈ શેખ (ઉ.વ.૩૦) ગઈકાલે સાંજે દુકાનમાં કામ કરતા હતા ત્યારે તેઓને જોરદાર વીજ આંચકો લાગતા દુકાનમાં હાજર મહંમદભાઈએ તેઓને સારવાર માટે ખસેડયા હતા જ્યાં અનવરભાઈનું મૃત્યુ નિપજ્યું છે. સિક્કાના જમાદાર એચ.જે. પરિયાણીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે. 
જયારે કાલાવડ તાલુકાના મોરીદળ ગામના ભૈયાભાઈ હીરાભાઈ પાટર નામના પિસ્તાલીસ વર્ષના યુવાન ગઈ તા.૧૫ ઓક્ટોબરની સાંજે પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટરમાંથી તેઓને વીજ આંચકો લાગ્યો હતો. સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલા ભૈયાભાઈને વધુ સારવાર માટે જામનગર અને ત્યાંથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાનું ડો. પી.એસ. ગોસ્વામીએ જાહેર કર્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી શરૃ કરી છે.