જામનગરમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કોલેજિયન યુવતીનો ગળાફાંસો :એક મહિનામાં ત્રીજો બનાવ
જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૩ : જામનગરના કડિયાવાડમાં રહેતી કોલેજની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં પેપર નબળા જતાં નાપાસ થવાની ભીતિથી ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે તેણીની માતાનું નિવેદન નોંધ્યું છે. છેલ્લા એક મહિનામાં જામનગર જિલ્લામાં ભણતરના ટેન્શનના કારણે ત્રીજા વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બનાવ નોંધાવા પામ્યો છે.
મળતી વિગત મુજબ જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી પંજા શેરીમાં રહેતા સુશીલાબેન ગુલાબચંદ અવધા નામના બિહારી મહિલાની પુત્રી જયશ્રીબેન (ઉ.વ.ર૦) કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીનીએ તાજેતરમાં જ યોજાયેલી પરીક્ષા આપી હતી જેમાં કેટલાક પેપર નબળા જતાં તેણી તણાવનો અનુભવ કરતી હતી. બે-ત્રણ દિવસથી ટેન્શન અનુભવતી જયશ્રીએ ગઈકાલે બપોરથી સાંજ સુધીના સમયમાં પોતાના ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેની સાડા છએક વાગ્યે માતા જયશ્રીબેનને જાણ થતા તેઓએ આડોશી પાડોશીઓને બોલાવી પોતાની પુત્રીને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેણીની તાકીદે સારવાર શરૃ કરી હતી તેમ છતાં જયશ્રીએ ટૂંકી સારવાર પછી અંતિમ શ્વાસ લેતા તેણીનો પરિવાર હતપ્રભ બની ગયો છે. આ બનાવની પોલીસને જાણ કરાતા જમાદાર આર.બી. ચૌધરીએ માતા સુશીલાબેનનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે. છેલ્લા એક મહિનામાં જામનગર જિલ્લામાં ભણતરના ટેન્શનના કારણે ત્રીજા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાનો બનાવ નોંધાવા પામ્યો છે. ગયા મહિનાના મધ્યમાં બાલંભડીના એક યુવાન બીએસસીના ફાઈનલ યરની પરીક્ષામાં નાપાસ થતા તેઓએ ગળાફાંસો ખાધા પછી ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં ધ્રોલની ધો.૮ની એક વિદ્યાર્થીનીએ અભ્યાસના સતત રહેતા ટેન્શન વચ્ચે ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું હતું.