જામનગર જિલ્લાના ૧૦ર ગામના સરપંચોનું આજે ખેડૂત સંમેલન
જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૩ : જામનગરના ગામડાઓમાં પાણી, ઘાસચારા અને ખેડૂતોના પાક વીમાના પ્રશ્ને આવતીકાલે વિશાળ ખેડૂત સંમેલન યોજાનાર છે. જેમાં ૧૦૦ થી વધુ ગામના સરપંચો જોડાશે.
સરપંચ એસોસિએશન દ્વારા ગામડા અને ખેડૂતના પ્રશ્નને વાચા આપવા તા. ૧૪ ના વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં ગત્ મોસમમાં અપૂરતો વરસાદ થયો હતો. પરિણામે અનેક ગામડાને અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતાં. હજુ પણ જામનગમાં ૧૦ર ગામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવતીકાલનું ખેડૂત સંમેલન યોજાયું છે. આ પછી રેલી સ્વરૃપે કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે. આ સંમેલનમાં ૧૦ર ગામના સરપંચો ઉપરાંત ખેડૂતો, માલધારી વગેરે પણ જોડાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની અને ઘાસચારાની સમસ્યા ઉપરાંત ખેડૂતોના પાક વીમાના પ્રશ્નને વાચા આપવા આ સંમેલન યોજાઈ રહ્યું છે.