જામનગર મોર્નિંગ - દ્વારકા૧૦ /૧ : ખંભાળીયા સશેરમાં સાંકડા રસ્તાઓ સાથે આડેધડ લારીવાળાઓ તથા પથારણા અને રેંકડીઓના દબાણ સામે આખરે નગરપાલીકા અને પોલીસ તંત્રએ ઝુંબેશ હાથ ધરતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
ખંભાળીયામાં મેઈન બજાર, દરબારગઢ, રાજડા રોડ, સતવારા વાડ તથા નગર ગેઇટ સુધીના વિસ્તારમાં બેંકો તથા શોરૂમ, શાક-માર્કેટ આવેલ છે. અહીં શહેરીજનો તેમજ ગ્રામજનોની ભીડ દિવસ દરમ્યાન નોંધપાત્ર રહે છે.
આ વ્યસ્ત માર્ગ પર રેકડીઓ તથા પાથરણાવાળાઓના ડેરા તંબુના કારણે વાહનચાલકો-રાહદારીઓને નાકે દમ આવી જાય છે. આ પ્રશ્ને લોકોમાં કચવાટ વચ્ચે ગઈકાલના નગરપાલીકા તંત્રએ સ્થાનિક પોલીસને સાથે રાખીને જરૂરી કાર્યવાહી કરી હતી. 
નગરપાલીકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવી તથા અહીંના ઇન્ચાર્જ પી.આઈ. અરવીંદસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલીકાના શોપ ઇન્સ્પેકટર દિનેશભાઈ જોશી, કીર્તિભાઇ ભટ્ટ, વિમલભાઈ ગોકાણી તથા સ્ટાફે પોલીસને સાથે રાખીને આ દબાણ દૂર કરવવા માટેની કામગીરી કરતા નગરજનો, તથા દુકાનદારો અને વાહનચાલકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. 
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી અવિરત અને નિયમિત ચાલુ રાખવામાં આવે તો જ આ સળગતા કાયમી પ્રશ્નનો નિકાલ આવશે તેવી ચર્ચા સાથે લોકમાંગ ઉઠવા પામી છે.