પેટ્રોલીંગ હાથ ધરી 22 પથારા વાળાની અટકાયત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે વાહન ટોઇંગ કરવાના મામલે બબાલ સર્જાઈ હતી જે બનાવના અનુસંધાને પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર પછી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જે ઘટનાના સંદર્ભમાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે પોલીસે બર્ધનચોક વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે અને જાહેર માર્ગ પર પથારણા પાથરીને વેપાર કરતા અથવા રેંકડી લઈને અડીંગો જમાવી બેઠેલા 22 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. 
જામનગર બર્ધનચોક વિસ્તારમાં પોલીસ અને વેપારીના ઘર્ષણના મામલા પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા પોલીસ વડાની બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણોને હટાવવા માટેની કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાયા પછી જામનગરની એસ.ઓ.જી. શાખાએ પેટ્રોલીંગ હાથ ધરી પથારણા વાળાઓ અને રેંકડી ધારકો વગેરે સહિત 22 આસામીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓ સામે એન.સી. કેસો દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગરની દબાણ હટાવ શાખાની ટીમે સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખી બર્ધનચોક વિસ્તારમાં સતત રાઉન્ડ લગાવ્યા હતા પોલીસ દ્વારા બપોર પછી પણ ફુટ પેટ્રોલીંગ ચાલુ રખાયું હતું અને એક પણ પથારણા વાળાઓ ફરક્યા નથી અને સમગ્ર રસ્તો ખુલ્લો કરાવ્યો છે.