જંગી માનવમેદની ઉમટી : સ્વ. હેમતભાઈના સબંધો તાઝા કર્યા!! 

જામનગર મોર્નિંગ - જામનગર 
ખંભાળિયા શહેર તથા તાલુકાના બજાણા, ધરમપુર, હર્ષદપુર, વાડીનાર વગેરે વિસ્તારોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની સભાઓ તથા કાર્યકર્તા સંમેલનમાં લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા. જે પછી આજે સલાયા ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા હિંદુભાઈઓ, મતદારો ઉમટી પડ્યા હતા અને પૂનમબેન માડમના સમર્થનમાં આ વિસ્તાર મુખ્ય રોલ ભજવીને જંગી લીડ આપવાની સાથે ઊચું મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
વિશાળ જનસંખ્યા સાથે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં બોલતા મુસ્લિમ અગ્રણી કારાબાપુએ ભાજપના સુશાસન તથા વિકાસ તથા સમાજને ફાયદાની  વાતો ઉદાહરણો સાથે કરી હતી.
સલાયામાં પ્રવચન કરતા  ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ગળગળા થઈ ગયા હતા અને તેમણે સલાયાના સમાજ સાથે તેમના પેઢીઓ  જુના સંબંધો તથા સલાયાની જનતા તેમના પિતા સ્વ. હેમતભાઈ માડમની ચૂંટણીમાં ખોબા ભરી મત દેતા હતા તે યાદોને પણ તાજી કરી હતી તથા હાલનો સલાયાનો વિકાસ ભાજપના સુશાસનની દેન હોવાનું જણાવીને નવા ભારતના વિચાર સાથે જોડાયેલા નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી ભારતમાં તેમને મત આપીને જોડાવા અપીલ કરી હતી તથા સલાયા પાલિકાના સદસ્યોને વડાપ્રધાન સાથે કુટુંબના સભ્યોની જેમ તેમણે કરાવેલી મુલાકાત પણ યાદ કરી હતી તથા સલાયાના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારનો હંમેશા સહયોગ મળતો રહેશે તેવી ખાતરી પણ આપી હતી.
સલાયાના કોઈપણ પ્રશ્ન માટે પૂનમબેને તત્પરતા બતાવી હતી તથા વિકાસકાર્યો નો લાભ સલાયાને મળતો રહેશે તથા તેમના પિતા ના સમયથી સલાયા તેમના કુટુંબને સાથ આપતું રહ્યું છે તેનો આભાર પણ માન્યો હતો. 
સલાયાના ઈતિહાસમાં ભાજપની આવી મહાસભા અનોખી થઈ હોય ઉત્સાહથી લોકોએ ભાગ લઈને સ્વયંભૂ રીતે જોડાવા બદલ તમામ લોકોનો આભાર માનીને છેવાડાના આ વિસ્તારને કેન્દ્રના વિકાસ કાર્યોમાં અવ્વલ નંબરે લાવવા માટેની તેમની મહેનત છે અને રહેશે તથા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકશાહીના પર્વને ઉજવવા બદલ આભાર માનીને સલાયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતું.
સલાયાના આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી મુળુભાઈ બેરા, ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, ભાજપપાલિકા પ્રમુખ સાલેમામદભાઈ ભગાડ, સલીમભાઈ કારાભાઈ, અજીજભાઈ કડિયારા, અબ્બાસભાઈ અમદાવાદી, ભરતભાઈ લાલ(રઘુવંશી અગ્રણી), પરેશભાઈ કાનાણી, રવીરાજ સિંહ જાડેજા, અનિલભાઈ તન્ના, કિરીટભાઈ ખેતીયા, ભરતભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, યાર્ડ પ્રમુખ પી.એસ.જાડેજા વગેરે જોડાયા હતા.
સલાયામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી મહાસભાથી ભારે ઉત્સાહનું વાતાવરણ ભાજપ છાવણીમાં ઊભું થવા પામ્યું છે.