કિલેશ્વર મહાદેવ મંદિર

જામનગર મોર્નિંગ - ભાણવડ , દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની સંયુક્ત સરહદે પથરાયેલ બરડા ડુંગરમાં કિલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. અહી શ્રાવણ માસ દરમ્યાન ભક્તજનો અને માનવ મહેરામણના ઘોડાપુર ઉમટી પડે છે. શ્રાવણ માસ દરમ્યાન કિલેશ્વર મંદિરે દર્શન કરવા અને પ્રકૃતિને માણવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી પહોચે છે. કિલેશ્વર મંદિરે શ્રાવણ માસ દરમ્યાન દરરોજની પૂજા અર્ચના જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશેલીયા સાહેબ દ્વારા કરવામાં આવે છે. કીલેશ્વર મંદિરનું સંચાલન જામનગર રાજવી પરિવાર સંચાલિત જામ ધર્માદા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. કિલેશ્વર મંદિરે રેવતી કુંડ(સ્નાનઘાટ) જે જાહેર પબ્લિક માટે આવેલ છે. તેમજ જાહેર રસોડા ઘર વિશાળ બાગ - બગીચા કિલગંગા તળાવ વિગેરે પૌરાણિક મંદિરનો લહાવો જોવા મળે છે.

કિલેશ્વર મંદિરે પહોચવા માટે ૧૦ કિમી પહાડી રસ્તો
બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવ મંદિરે પહોચવા માટે ૧૦ કિ.મી. જેટલો પહાડી રસ્તો પાર કરવો પડે છે. આ રસ્તા દરમ્યાન જંગલી પ્રાણીઓનું પણ જોખમ રહે છે. આ પહાડી રસ્તા પર ફોરેસ્ટ વિભાગનું સતત પેટ્રોલિંગ રહેતું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી.

બરડાના પહાડી ફળોનો સ્વાદ ચાખવા મળે.
કિલેશ્વરનેશ તેમજ આજુબાજુ પહાડી વિસ્તારમાં વસવાટ કરતા માલધારી આદિવાસી પરિવારો દ્વારા ત્યાના ફળો, આંબળા, ટીંબરવા, ખાટી આંબલી વિગેરે ફળો તેમજ ત્યાના માલધારી દ્વારા શુદ્ધ અને તાજા છાસ દૂધ પણ પીવા મળે છે.

પોલીસ સુરક્ષાનો અભાવ
કિલેશ્વર મહાદેવ મંદિર જવા માટે જામનગર પોરબંદર સ્ટેટ હાઇવે પરના કપુરડીનેશ થઈને રસ્તો આવેલ છે. કપુરડીનેશ કિલેશ્વર મંદિર સુધી ૧૦ કિ.મી. જેવો પહાડી રસ્તો આવે છે. શ્રાવણ માસ દરમ્યાન કિલેશ્વર મંદિર જવા માટે માનવ મહેરામણ ઉમટી પડતા હોય, ટ્રેક્ટર, ફોરવ્હીલર, સ્કુટર સહિતના અનેક વાહનો કિલેશ્વર મંદિર સુધી જતા હોય ત્યારે પોલીસએ ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગી બનવાને બદલે મેઈન રોડ પર કપુરડી પોલીસ ચેક્પોસ્ટ પર અડીંગા જમાવીને બેસી રહેતા હોય તેવા પણ પબ્લિકમાંથી સવાલો ઉઠવા પામ્યા છે. અને રસ્તામાં કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ત્યારે એક - એક કિ.મી.ના અંતરે એક - એક સુરક્ષા જવાનને તહેનાત કરવામાં આવે તો લોકોને કલાકો સુધી ટ્રાફીકજામમાં ફસાવું ના પડે.