જામનગર મોર્નિંગ : રાજકોટ - અમદાવાદ હાઇ વે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે, ખંભાલીયાથી જઈ રહેલા પરિવારની કારનો ચોટીલા નજીક અકસ્માત સર્જાયો જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. તો અકસ્માતમાં એક બાળકીનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ડી.આર.ડી.એ નિયામક તરીકે ફરજ બજાવતા નાયબ કલેકટર એ.પી.વાઘેલા તેમના પરિવાર સાથે પાલનપુર તરફ ખાનગી કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા અધિકારી એ.પી.વાઘેલા સહીત ત્રણના મોત નીપજયા છે, જયારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં કુલ પાંચ લોકો જઇ રહ્યાં હતાં.ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.