તસ્વીરમાં દેખાતા પાડાનું દીપડાએ મારણ કરેલ છે \.

  • પાડાનું મારણ કર્યા બાદ દીપડો નજીકનાં વોકળામાં છુપાયો, વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ. 

જામનગર મોર્નિંગ - ભાણવડ, તા. ૨૨ : દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા પંથકના મોખાણા ગામે રાત્રીના સમયે ખેડૂતની વાડીમાં દીપડાએ પશુધન પાડાનું મારણ કર્યું હતું. મારણ દરમિયાન ખેડુત આવી જતા મારણ અધુરું મૂકીને દીપડો નજીકના વોકળામાં ઘુસી ગયો તો જે હજુ હાલ સુધી ત્યાંજ છે બનાવને પગલે વન વિભાગની ટીમ દ્વારા દિપડાની રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ. 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના બરડા પંથકમાં દીપડાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગયા મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક વખત નર અને એક વખત માદા એમ બે દીપડાને વન વિભાગની ટીમે રાણપર ગામેથી રેસ્ક્યુ કર્યા હતાં. ત્યારબાદ રાણીવાવનેશ, પાછતરડી ગામમાં દીપડો રાત્રીના સમયમાં પોતાના પશુને રંજાડતો હોવાની ગ્રામ જનોએ વન વિભાગને રજૂઆત કરી હતી. તેમજ ગત રાત્રીએ બરડા પંથકના મોખાણા ગામમાં ધાર વિસ્તાર અને ખોડિયાર માતાજીના ઝરણાં નજીક આવેલ મેરામણ પુંજાભાઈ મોરીની વાડીમાં બાંધેલા પોતાના પશુધન પૈકી ૮ માસ જેટલી ઉમરના પાડાનું મારણ દીપડાએ કર્યું હતું. દીપડો વાડીમાં પ્રવેશતા હાજર પશુધનએ રાડા રાડી કરતા ખેડુત મેરામણભાઈ ઉઠી ગયા અને જોયું તો પાડાનો દીપડાએ શિકાર કરી લીધો હતો ખેડુતના અવાજથી દીપડો શિકાર અધૂરો છોડીને બાજુના વોકળામાં છુપાયો છે. બનાવની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાની ટીમ દોડી આવી હતી દીપડાના પગના નિશાન અને મરણ પામનાર પશુધનનું નિરીક્ષણ કરતા દીપડો મોટી ઉમરનો અને ખૂંખાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. દીપડાને રેસ્ક્યુ કરવા માટે વનવિભાગે ખેડુતને ત્યાં પાંજરૂ મૂક્યું છે. દીપડો રાત્રીના સમયે અધુરું મુકેલ મારણનો શિકાર કરવા આવે તેવી પૂરતી શક્યતા દેખાઈ રહી છે. મારણ પાંજરા અંદર મુકેલ હોવાથી શિકાર ખાવા જાય એટલે દીપડો પાંજરે પુરાઈ જાય.



" શિકાર અધૂરો છોડીને ગયો હોવાથી દીપડો કોઈ પણ ઘડીએ પાછો શિકાર માટે ત્યાં આવી શકે છે. દીપડો મારણ કરેલ શિકારને કોઈ સંજોગોમાં છોડતો નથી. રેસ્ક્યુ માટે પાંજરૂ રાખ્યું છે. અને ખેડૂતોને સાવચેત કર્યા છે. અમે સતત મોનીટીરીંગ કરી રહ્યા છે. "

- સીદાભાઈ વકાતર, ઇન્ચાર્જ ફોરેસ્ટર



દીપડાનું રેસ્ક્યુ કરવા માટે મુકાયેલ પાંજરું

આ વોકળામાં દીપડો છુપાયેલ છે.