જામનગર મોર્નિંગ - જામનગર 
ગાયત્રી શક્તિપીઠ દ્વારા આગામી ૩૧ મે એટલે કે રવિવારના રોજ કોરોના સામેની લડતમાં સહયોગ આપવા ભારતવાસીઓને એક અનોખો યજ્ઞ કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ યજ્ઞ માટે લોકોને ગૌમુત્ર મિશ્રીત છાણુ અને હવન સામગ્રી નિશુલ્ક વિતરિત કરવામાં આવી રહી છે અને આ સામગ્રીનો રવિવારના દિવસે છાણા પર ઘરમાં રહેલી દીવા માટેની વાટ મુકી અને આ હવન સામગ્રી તેમાં શક્તિપીઠ દ્વારા વિતરિત કરાયેલા પત્રિકાઓમાં લખેલ મંત્રોના આહવાન સાથે હોમી અને યજ્ઞ કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
ગાયત્રી શક્તિ પીઠ સાથે જોડાયેલા જામનગરના શ્રી જાડેજા જણાવે છે કે, ૩૧ તારીખના રોજ આ યજ્ઞ સમગ્ર ભારતમાં ઘરે-ઘરે થાય અને તેનાથી ઘરનું વાતાવરણ જંતુમુક્ત થાય, વિષાણુમુક્ત થાય તે માટે ગાયત્રી પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદિક ઔષધીઓના મિશ્રણથી વર્ષોથી આપણી આ યજ્ઞ સંસ્કૃતિ ચાલતી આવી છે ત્યારે યજ્ઞ સંસ્કૃતિ માત્ર હિંદુ સંસ્કૃતિ નથી, વાતાવરણને શુદ્ધ બનાવી અને વિશ્વને વિષાણુમુક્ત કરવા માટેની એક યજ્ઞ ચિકિત્સા પણ છે, ત્યારે લોકો આ અભિયાનમાં જોડાઈને એકસાથે ૩૧ તારીખે આ હવન પોતાના ઘરમાં કરશે તો માત્ર એક ઘર નહીં સંપૂર્ણ સમાજ, આપણી આસપાસની સોસાયટીઓ અને આપણું શહેર, રાજ્ય અને દેશ પણ વિષાણુમુક્ત કરી કોરોનાવાયરસ સામેની લડાઈમાં સહભાગી બની શકીશું.