પોરબંદર તા.૧૯, રાજ્ય સરકારનાં માર્ગદર્શન મુજબ લોકડાઉન ચારની યોગ્ય અમલવારી માટે તથા સામાજિક અંતર જળવાઇ રહે તે માટે પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં ઓડ- ઇવન ફોર્મુલા અપનાવીને દુકાનદારોને એક અને બે નંબર આપીને એકી અને બેકી તારીખ મુજબ દુકાન ખોલવા સુચના આપવામાં આવી છે. નગરપાલિકાનાં ચીફ ઓફિસર રુદ્રેશ હુદડે જણાવ્યું કે, માણેક ચોક સહિતના વિસ્તારમાં દુકાનોને એક અને બે નંબરના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેમા એક નંબરના દુકાનદારોએ એકી તારીખે દુકાનો ખોલવી તથા બે નંબરના દુકાનદારોએ બેકી તારીખે દુકાનો ખોલવાની રહે છે. દુકાનદારોએ વહિવટી તંત્રનાં આ નિર્ણયને આવકારી પોતે ગ્રાહકો સાથે સામાજિક અંતર જાળવશે તેમ જણાવ્યું હતું.