તા.૧/૬/૨૦૨૦ થી થી તા.૩૧/૭/૨૦૨૦ સુધી અમલી આદેશ
જામનગર મોર્નિંગ - દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્‍ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ માહે મે માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્‍ય રીતે મે માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમયુકત હોય છે. મત્‍સયોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસરશ્રી દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્‍યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્‍યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો સંભવ છે જેથી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્‍ય કોઇ વ્‍યક્તિઓએ તા.૦૧-૦૬-૨૦૨૦ થી તા.૩૧-૦૭-૨૦૨૦૨૦ સુધી માછીમારી માટે કે અન્‍ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવા પર અને કોઇપણ બોટની અવર જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્‍યાપારીક જહાજોને, લશ્‍કરી દળો, અર્ધ લશ્‍કરી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્‍ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્‍જર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ તથા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.