જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ તાલુકાના બરડા વન્ય પ્રાણી અભ્યારણ રેન્જમાં આવેલ રાણાસર તળાવ જે વર્ષો જૂનું અને મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ શક્તિની ક્ષમતા ધરાવતું તળાવ છે. આ તળાવમાં અનેક મગરો અને માછલાં આવેલા છે. આજુબાજુના ગામડાઓ માં જયારે મગર આવે ત્યારે તેને રેસ્ક્યુ કરીને પણ રાણસર તળાવમાં જ મુક્ત કરવામાં આવે છે. તળાવને કાંઠે રાણસરનેશમાં 20-30 જેટલાં માલધારી પરિવારો વસવાટ કરે છે.

આ રાણાસર તળાવ હાલમાં સારા પ્રમાણમાં વરસાદ થતા તળાવ ભરાઈ ગયું છે અને તળાવની પાળમાંથી પાણી તરપી બહાર નીકળે છે જેનાથી ધીરે - ધીરે તળાવની પાળ ધોવાઈ જવાનો ભય દેખાઈ છે. જો તળાવની પાળ તૂટે તો મોટા પ્રમાણમાં સંગ્રહ થયેલું આ પાણી વેડફાઈ જાય અને કાંઠે રહેતા માલધારી પરિવારોને પણ તળાવમાંથી પાણી ખાલી થઇ જતા ઉનાળા દરમિયાન પાણીની મોટી મુશ્કેલી સર્જાય જેથી વનવિભાગ કે સિંચાઈ વિભાગ દ્વારા તાકીદે તૂટેલી તળાવની પાળ રીપેર કરવી જરૂરી છે.