જામનગર મોર્નિંગ - તા.19 : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની સીમમાં યાયાવર પક્ષી કુંજના શિકારના કેસમાં વન વિભાગે 4 ઈસમોને ઝડપી લીધા હતા. ઘાયલ સ્થિતિમાં મળેલા કુંજને પાવડો મારીને કોથળામાં પૂરી દીધું હતું અને પછી રાત્રે તેને શેકીને ખાઈ જવાની ફિરાકમાં હતા, જો કે એ પહેલા વનતંત્રે આ ઈસમોને ઝડપી લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની સીમ વિસ્તારમાં કાનુભા ભીખુભા જાડેજાની વાડીમાં યાયાવર પક્ષી કુંજનો શિકાર કરી અને શેકીને ખાઈ જવાની ફિરાકમાં હતા. પણ આ ઘટના બને તે પહેલાં જ વનતંત્રએ 4 ઈસમોને ઝડપી પાડ્યા. શિકાર કરવાના કેસમાં પ્રવીણસિંહ ગંભીરસિંહ જાડેજા, માલદે કારું કારિયા, મહાવીરસિંહ અખુભા અને જીતેન્દ્રસિંહ જાડેજાને વન તંત્રના અધિકારી પંપાણીયા તેમજ એસ.જે. વાંદાએ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. કુંજ પક્ષી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી આરક્ષિત હોવાથી આ કાર્યવાહી કરાઈ હતી. કુંજ પક્ષી આ લોકોને ઘાયલ અવસ્થામાં મળતા પાવડો મારીને કોથળામાં પૂરી દીધું હતું. અને રાત્રે મિજબાની માણવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જો કે, એ પહેલા જ પકડાઈ ગયા હતા.