જામનગર એલસીબીએ ભેદ ઉકેલ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ઇવાપાર્કમાં ત્રણ દિવસ થયેલ ફાયરિંગ પ્રકરણમાં એલસીબી દ્વારા કાયદાથી સંઘર્ષીત સહિત સાત શખ્સને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  


મળતી વિગત મુજબ જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે રણજીતસાગર રોડ પર આવેલ ઇવા પાર્ક વિસ્તારમાં જયસુખ ઉર્ફે ટીનાભાઈ પેઢડિયા નામના યુવાન પર ફાયરિંગ કરાવવામાં આવ્યું હોય ત્યાર બાદ જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી પોલીસ અધિક્ષક નીતીશ પાંડેના માર્ગદર્શન મુજબ આરોપીઓને ઝડપી પાડવા એલસીબી, એસઓજી, સીટી એ અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી જુદી-જુદી દિશા તપાસ હાથ ધરી હતી. 


ત્યારબાદ પોલીસ દ્વારા બનાવના સ્થળે આજુબાજુના રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તે દરમ્યાન ગુનાને અંજામ આપનાર બે મોટરસાયકલમાં આવેલ ચાર શખ્સોની ઓળખ માટે અલગ અલગ ટીમોને તેમજ બાતમીદારોને કામે લગાડયા હતા, તે દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા તેમજ રઘુવીરસિંહ પરમારને બાતમી મળતા ગુનામાં વપરાયેલ કેટીએમ બાઇકનો ચાલક મયુર આલાભાઈ હાથલીયા અને તેની પાછળ બેસેલ સુનીલ ખીમાભાઈ કણઝારીયા તથા સ્પેલન્ડર માં સવાર દીપ હીરજી હડીયા તથા તેની પાછળ બેસેલ કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત અન્ય ત્રણ શખ્સ સુનિલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરીયો અને ભીમશી ગોવાભાઈ કરમુર નામના સાતેય શખ્સોને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, પિસ્તોલ, તમંચો અને મોબાઈલ ફોન વિગેરે કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. તેમજ ઝડપાયેલા શખ્સોનો ગુનહિત ઇતિહાસની તપાસ સીટી એ ડિવિઝનના પીઆઈ એમ.જે. જલુ તપાસ ચલાવી રહ્યા છે. 


બનાવ પાછળનું કારણ એવું હતું કે ઈજાનો ભોગ બનનારના ભાઈ હસમુખ પેઢડીયાને અગાઉ જયેશ પટેલ સાથે માથાકૂટ તકરાર થયેલ હોય અને સામસામે ફરિયાદો થયેલ હોય તેનું મનદુઃખ રાખી તેઓનું મકાનનું કામ ચાલતું હોય ત્યાં સાઈટ પર નહીં જવા અગાઉ જયેશ પટેલે વોટ્સએપ કોલ થી ધમકી આપેલ હતી તે અંગેનો ખાર રાખી કાવતરું રચી જયસુખ ઉર્ફે ટીનાભાઈ ઉપર ફાયરિંગ કરાવ્યાનું ખુલવા પામ્યું હતું. 

આ કાર્યવાહી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી, એસઓજી પીઆઈ એસ.એસ.નિનામા, સીટી એ પીઆઈ એમ.જે. જલુ તથા પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા, પીએસઆઈ આર.વી. વીંછી, પીએસઆઈ વી.કે. ગઢવી, પીએસઆઈ એ.એસ.ગરચર, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોવડ તેમજ સીટી એ ડિવિઝન તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.