જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : જામ ખંભાળીયામાં લાંબા સમય સુધી ચાર્જમાં આવેલ ચીફ ઓફિસરની જગ્યાએ તાજેતરમાં રેગ્યુલર ચીફ ઓફિસર તરીકે સિન્હાની નિમણૂલ થતા જ પાલિકાની કામગીરી પાટે ચડી છે. નવા ચીફ ઓફિસરે પાલિકા વિસ્તારમાં વેરા વસુલાતમાં તેજ ગતીએ કાર્યવાહી આદરી છે. બાકી રહેતા વેરા ભરવામાં મિલ્કત માલિકોને 15 દિવસની નોટિસ ફટકારી સમય મર્યાદામાં વેરો કે જવાબ ના ભરનાર ઈસમોની મિલ્કતો સીલ કરવા સુધીની કાર્યવાહી પાલિકા કરી રહ્યું છે. હમણાં થોડા દિવસો પહેલા જ 12 જેટલી મિલ્કતો સીલ કર્યા બાદ પણ આ કાર્યવાહી ચાલુ જ છે. વેરો ના ભરનાર અનેક મિલ્કતોમાં દુકાનો, રહેણાંક મકાન સીલ કર્યા બાદ તેમના નળ જોડાણ પણ કપાઈ રહ્યા છે. જોવાનું રહ્યું કે આવા કઠોર નિર્ણયથી વેરો વસુલવામાં સફળતા મળશે કે વિવાદો વકરશે તે આવનારો સમય બતાવશે.