• મધ્યપ્રદેશની ગેંગના વધુ ૩ શખ્સો ની શોધખોળ: લૂંટનો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી
જામનગર મોર્નિંગ - જામનગર તા ૭, જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં ગત ૨૧મી ફેબ્રુઆરીના મોડી રાત્રે હત્યા પ્રયાસ અને લુંટની ઘટના બની હતી, અને લૂંટારું ટોળકી ના છ થી આઠ જેટલા સભ્યોએ વાડીમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરી દઇ મકાનમાંથી રૂપિયા ૮.૬૨ લાખની કિંમતના સોનાના દાગીના મોબાઇલ ફોન અને કાર સહિતની માલમતાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી હતી, અને મધ્યપ્રદેશની ટોળકીના એક શખ્સને પોલીસે પકડી લઇ રિમાન્ડ લીધો હતો. જે પ્રકરણમાં એલસીબી સહિતની પોલીસ ટુકડીએ વધુ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય બે સાગરીતો ની શોધખોળ હાથ ધરી છે.
 આ ખૂની હુમલા અને લૂંટના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ વિક્રમભાઈ ઓડેદરા ની વાડીમાં ગત ૨૧મી તારીખના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં લુંટારૂ ગેંગ ત્રાટકી હતી, અને મકાનમાંથી રૂપિયા ૫ લાખ ૬૦ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના મોબાઇલ ફોન અને એક કાર સહિત કુલ ૮ લાખ ૬૨ હજારની માલમતાની ચલાવી તમામને મકાનમાં અંદર પુરી દઈ ભાગી છૂટયા હતા.
 જે બનાવ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યા પછી પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ લુંટારૂ શખ્સો ભાગી છૂટવામાં સફળ થયા હતા.
 જે બનાવ અંગેની ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગર પોલીસને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી, અને મધ્યપ્રદેશના કૂકશી ધાર જિલ્લાના વતની જ્ઞાનસિંગ બનસીંગ દેવકા નામના એક લૂંટારૂ શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી ૧૧ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.
 પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેની સાથે અન્ય પાંચ સાગરિતો લૂંટના ઇરાદે આવ્યા હતા, અને લૂંટની ઘટનાને અંજામ આપી કાર સહિતનો મુદ્દામાલ લઈને ભાગી છૂટયા હતા. પોલીસે તેના અન્ય પાંચ સાગરીતોને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી.
દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઉપરાંત પેરોલ ફર્લો સ્કવોડ અને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વગેરેએ સંયુક્ત રીતે તપાસ નો દર અલગ અલગ દિશામાં દોડાવી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ માં થી વધુ ત્રણ સાગરિતો દિનેશ રમણભાઈ મીનાવા, ભવાન રાયસીંગભાઈ વસુનિયા, અને બાજડો ઉર્ફે કેરમસિંઘ આદિવાસી વગેરેને પકડી પાડયા હતા. જ્યારે તેના અન્ય બે સાગરીતો ભિલુભાઈ ઉર્ફે બીલુ આદિવાસી અને કરો આદિવાસી હજુ ફરાર હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે
 જ્યારે લૂંટનો મુદ્દામાલ કબજે કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સૌપ્રથમ પકડી પાડેલા આરોપી જ્ઞાનસિંઘ બનસીંગ દેવકા કેજે અગાઉ મેર પરિવાર ની વાડી માં રહીને ત્રણેક વર્ષ પહેલા ખેતી કામ કરતો હતો પરંતુ કોઈપણ કારણસર ખેતી કામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર પછી પોતે વાડી માલિક અંગેની તમામ ગતિવિધિ જાણતો હોવાથી અન્ય સાગરીતો સાથે ધાડ પાડવાના ઈરાદે આવ્યા હતા, અને ખૂની હુમલો કરી ભાગી છૂટયા હતા. પરંતુ પોલીસે સીસીટીવી કેમેરા ની મદદથી તેમજ મોબાઇલ ફોનના ટાવર લોકેશન વગેરે મેળવીને ચાર શખ્સોને પકડી પાડયા છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી લૂંટ નો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.