જામનગર જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રોમાં ૫૩.૪૩ લાખના ખર્ચે લોહી પરીક્ષણના ૩૯ મશીનો વિકસાવવામાં આવ્યા: સી.બી.સી. મશીનની સુવિધાથી દર્દીઓ વિનામૂલ્યે લોહી પરીક્ષણ કરાવી શકશે : કૃષિમંત્રી


જામનગર મોર્નિંગ - જામનગર 


રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના સહયોગથી વિકસાવવામાં આવેલ સી.બી.સી. મશીનનું લોકાર્પણ કર્યું હતું. લોહી પરીક્ષણનું આ મશીન રૂ.૧ લાખ ૩૭ હજારના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ૫૩લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ સી.બી. સી. મશીનો વિકસાવવામાં આવ્યા છે.


આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર છે. ત્યારે જામનગર જિલ્લાના જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોહી પરીક્ષણનું મશીન આવવાથી ગામના દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે લોહી પરીક્ષણની સુવિધા મળી રહેશે. તેમજ તાત્કાલિક સારવાર પણ થઈ શકશે. કૃષિમંત્રીએ પણ પોતાના લોહી પરીક્ષણો કરાવ્યા હતા અને જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના સમયે કરવામાં આવેલી ઉમદા કામગીરીને બિરદાવી હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, સી.ડી.એચ.ઓ. ભારતીબેન, અધિક્ષક દિપ્તીબેન જોશી, સરપંચ ગીતાબેન, નર્સિંગ સ્ટાફ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.