જામનગર મોર્નિંગ 


વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી. પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ હરામ કરી દીધી છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે, તેણે માનવ જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે . ૨૧ મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે જીવી રહયું છે. વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાથી થરથરી ઉઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશનાં પણ દ્વારો ખોલી નાખ્યા છે. વિજ્ઞાનનો અમર્યાદ અને સમજણ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે ? પર્યાવરણની અવગણનાના કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય, ન કલ્પ્યા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવો જેવા કે ધરતીકંપ, સુનામી, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી, ગરમીનું ઉંધુ ચક્ર, હિમશિલાઓનું ઓગળવું. ઓઝેન થરમાં ગાબડા, જંગલોમાં આગ જેવી અનેક આપત્તિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજી બાજુ આતંકવાદ, નકસલવાદ, હત્યા, લુંટફાટ, ચોરી, બળાત્કાર, વાયુ અને જળપ્રદુષણ, ખોરાકમાં ભેળસેળ, માનસિક અસમતુલા, અશાંતિ અને ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ તથા કેમીકલ્સની આડઅસરો, આ બધુ આપણને વિશ્વ વિનાશની ભયાવહતાનું તાદ્રશ નિરૂપણ કરતી ફિલ્મ “૨૦૧૨”ની યાદ અપાવે છે. ૨૧ મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની ?

લાખો વર્ષ પહેલાં ભારતના ઋષિમુનિઓએ ગહન ચિંતન દ્વારા વૈજ્ઞાનિક શોધો કરીને પર્યાવરણના રક્ષણ અને પોષણ માટે સચોટ ઉપાયો શોધ્યા હતા. વેદોમાં લખ્યું છે. " પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ : વનસ્પતયો શાંતિ : " ઋષિમુનિઓ એ પોતાની પ્રાર્થના કદી મનુષ્યો સુધી સીમિત ન રાખતા સમગ્ર બ્રહમાંડના કલ્યાણ અને મંગલઅર્થે પણ કરી છે. વર્તમાનકાળના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો ઉપર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે સંશોધનો કરી રહયા છે, ત્યારે લાખો વર્ષ પહેલાં રચાયેલ વેદોમાં “ અંતરીક્ષ શાંતિ :,” એટલે કે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો ઉપર આવેલ જીવ સૃષ્ટિની શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે .

એટલું જ નહિ,  વેદોમાં " વનસ્પતયો : શાંતિ :" ભારતના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝે કેટલાંક વર્ષો પહેલા શોધ્યું કે વનસ્પતિમાં જીવ છે, એ  વાત લાખો વર્ષ પહેલાં ભારતનાં ઋષિમુનિઓએ વેદોમાં લખી છે, સાથે સાથે વનસ્પતિના રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે માનવજાતને ચોક્કસ દષ્ટિ અને દિશા આપી છે.હિન્દુ ધર્મશાસ્ત્રોના ચિંતનમાં સમગ્ર પર્યાવરણનાં બધાં જ તત્વો જેવાકે તુલસી , પીપળો, વડ વગેરે વૃક્ષોની પૂજા કરીને વનસ્પતિના મહત્વને ધર્મ અને માનવ જીવનની દૈનંદિન પ્રવૃતિ સાથે વણી લીધા છે .

" સાદુ જીવન ઉચ્ચ વિચાર " વાળી વિકેન્દ્રીત , સ્થાનિક, કુદરત આધારિત , સ્વાવલંબી જીવન પધ્ધતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે . ભારતીય જીવન પધ્ધતિમાં વ્યક્તિ, સમષ્ટિ અને પરમેષ્ટી સુધી જીવ માત્રના કલ્યાણની "વસુધૈવ કુટુંમ્બકમ "ની સર્વજીવ હિતાવહ , સર્વ મંગલકારી , સર્વ કલ્યાણકારી આદર્શ વ્યવસ્થા હતી. જે માનવીની સમગ્ર જીવ સૃષ્ટિ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યવાળી ઉચ્ચ જીવન શૈલી હતી. પુન : આ વ્યવસ્થાને વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે અને ધર્મ, નૈતિક મૂલ્યો , આહાર - વિહાર અને સામાજીક , આર્થિક પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી એક શ્રેષ્ઠ જીવન પધ્ધતિ - સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે કાર્ય યોજના તૈયાર કરવાનો સમય પાકી ગયો છે .

આજે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે . પર્યાવરણ રક્ષા એટલે જમીન , જળ , જંગલ , જાનવર અને જીવની રક્ષા. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ભારતીય ચિંતનમાં " ગૌમાતા " નું સ્મરણ કરવું અતિ આવશ્યક છે . ગૌમાતાનું જીવન જ પર્યાવરણ રક્ષાનું ઉતમ દ્રષ્ટાંત છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો તેનું મૂલ્ય  સમજમાં આવશે . ગૌમાતાનું પંચગવ્ય - દૂધ , દહીં , ઘી , ગૌમૂત્ર અને ગોબર અને સમગ્ર શરીર પર્યાવરણ રક્ષા માટે જ છે .

કચ્છના  પરમ વડીલ મિત્ર શ્રી વેલજીભાઇ ભુંડીયાએ ગાયના દૂધ અને ગોળના મિશ્રણને વનસ્પતિના છોડ, ફળ - ફૂલ, વૃક્ષ ના પોષણ અને ઝડપી વૃદ્ધિ માટેના પ્રયોગો કરી સિદ્ધ કરી બતાવ્યું છે કે આ મિશ્રણ બેસ્ટ ગ્રોથ પ્રમોટર છે. સાથે કીટ નિયંત્રક છે . આમ દૂધ અપ્રત્યક્ષ રીતે પર્યાવરણ રક્ષાનું કાર્ય કરે છે.

ગાયનું દૂધ અમૃત છે . ગાયના છાશ , દહીં , માખણ અને ઘી શ્રેષ્ઠ અને ગુણકારી છે. શ્રેષ્ઠ આહાર છે. ઉત્તમ ઔષધિ છે .તેના સેવન થી  એટલી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે . ઉતમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે . પંચગવ્ય જેટલો ઉપયોગ વધુ એટલી દવાની જરૂર ઓછી અને કેમીકલ્સની આડઅસર ઓછી.

ગાયનું ઘી અને પંચામૃત જે યજ્ઞ- હવન માં ઉપયોગમાં લેવાય છે , તે એક જાતનું “ ફ્યુમીગેશન ” જ છે , “ હવાઈ સ્પ્રે " જ છે. જર્મનીના વૈજ્ઞાનિક ડો. ઉલરીચ બર્કે "હોમા થેરાપી"ના પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે ગાયના પંચગવ્ય માં એન્ટીબેક્ટરિયલ ,એન્ટીફંગલ , એન્ટિવાયરસ પ્રોપર્ટી છે . ધી ના પ્રજવલનથી એસીટીલીક એસિડ , ફોર્માલ્ડીહાઇડ જેવા અનેક વાયુઓનું ઉત્સર્જન પર્યાવરણને શુદ્ધ કરે છે . તાજેતરમાં મહર્ષિ મહેશ યોગી યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા હૈદરાબાદ નજીક કરાયેલ યજ્ઞ દ્વારા પણ આ વાતને વૈજ્ઞાનિક પુષ્ટિ મળી છે. એટલું જ નહીં . પરજન્ય યજ્ઞ દ્વારા વરસાદને ખેંચી લાવવા માટે વાતાવરણ સાનુકુળ થાય છે . ઓઝોન લેયરમાં થતા ગાબડા ને રોકવાની તાકાત આવા યજ્ઞમાં છે પંચગવ્ય દ્વારા પયૉવરણ શુદ્ધિ ના અનેક પ્રયોગો ગાયત્રી પરિવાર, હરિદ્વારની આધુનિક પ્રયોગશાળામાં થઇ રહ્યાં છે.

ગૌમૂત્ર એન્ટી બેકટીરીયલ , એન્ટી વાઈરલ , એન્ટી કેન્સર , એન્ટી ઓકસીડન્ટ ગુણો ધરાવે છે . ગૌમૂત્રનો છંટકાવ ઘરની આસપાસ નું વાતાવરણ શુદ્ધ રાખે છે . ગૌમૂત્રનો પેસ્ટીસાઈડ , કીટનાશક તરીકેનો ઉપયોગ ઓર્ગેનીક ફૂડ માટે શ્રેષ્ઠ હોવા ઉપરાંત કેમીકલ દવાઓની ઝેરી અસરોથી બચાવી કરોડો જીવને આરોગ્ય પ્રદાન કરે છે . જમીનની ઉર્વરા શકિત વધારે છે .

ગાયનું ગોબર ઉત્તમ ફર્ટીલાઇઝર- ખાતર છે તે આપણે સૌ જાણીએ છીએ. ગોબરમોથી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતા વર્મીકમ્પોસ્ટ , પ્રવાહી જીવામૃત , ઘન જીવામૃત અને હ્યુમસ જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. કેમિકલ અને પેસ્ટીસાઈડ થી જમીન ને બચાવે છે. ઉપયોગી માઇક્રોફલોરાની વૃદ્ધિ કરે છે . તંદુરસ્ત વૃક્ષ છોડ ની વૃદ્ધિ માં સહભાગી થાય છે. એલન સેવરી નામના વૈજ્ઞાનિકે ગાયોને જંગલમાં ચરવાથી જંગલોનો નાશ નહીં પરંતુ જંગલની વનસ્પતી સંપદામાં વૃદ્ધિ થયાનું પ્રતિપાદિત કર્યું છે . ગાયના ગૌમુત્ર અને  ગોબર થી જમીનની ઉર્વરા શક્તિ વધવાથી આમ બન્યાનું  તેનું તારણ છે. ફેકટરીઓનું પ્રદૂષણ ઘટે , કરોડો જીદગી આરોગ્યમય રહે, વક્ષો અને અન્ય જીવને નુકશાન ન થાય.એટલું જ નહીં જમીન પર પડતા ગૌમૂત્ર અને ગોબરથી અનેક વૃક્ષો અને વનસ્પતિથી હરીયાળી છવાઈ રહે છે . અબજો રૂપિયાના ડીઝલની આયાત બંધ થઈ જાય . હુંડીયામણ બચે . ગોબર વિકરણોનું શોષણ કરી જીવ માત્રનું રક્ષણ કરે છે . માટે જ આપણે ત્યાં ગોબરથી ઘર - આંગણા માં  લીપણની પધ્ધતિ વિદ્યમાન હતી.

બળદ આધારિત ખેતી અને ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાના ડીઝલની બચત ઉપરાંત ડીઝલનો ધુમાડો બંધ થતા પર્યાવરણ શુદ્ધિ થશે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. ગાયના ગોબરમાંથી બાયોગેસ , સીએનજી બનાવવાથી પ્રદૂષણ અટકશે. કરોડો રૂપિયાનું હૂંડિયામણ બચે છે. વધુમાં , ગાયો ના ગોબર નો ઉપયોગ ઇકોફ્રેન્ડલી હાઉસ હોલ્ડ, કોસ્મેટિક અને ડેકોરેટિવ આર્ટીકલ્સ બનાવાના પ્રચલનની રાષ્ટ્રીય કામધેનુ આયોગે પહેલ કરી છે . ગાયના ગોબરમાંથી પર્યાવરણ રક્ષક ગણેશ લક્ષ્મી અને અન્ય દેવ- દેવીઓની તેમજ મહાન પુરુષો ની મૂર્તિ , રોપાના કુંડા , દીવા , ધૂપબતી , પેન સ્ટેન્ડ , ટેબલ પીસ, ફોટો ફ્રેમ , કી ચેઇન , નેઈમ પ્લેટ , રાખડી, ઘડિયાલ, ધૂળેટીના કલર, રંગોળી, ટાઇલ્સ, બ્રીક અને પેઇન્ટ જેવા અનેક ઉપયોગી આર્ટીકલ્સ બનાવવાનું શરૂ થયું છે. જેથી મહિલા અને યુવા રોજગારી ના  નવા દ્વાર ખુલ્યા છે .

ગોબર માંથી બનાવેલી લાકડીઓ આજકાલ સ્મશાનમાં અગ્નિદાહ માટેના ઈમારતી લાકડાના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ થયું છે . જેથી વૃક્ષોનું છેદન અટકશે અને પર્યાવરણ રક્ષણ થશે .

ગાયના મુત્યુબાદ ગાયના શબને જમીનમાં સમાધિ આપીને “સમાધિ ખાતર " બનાવાય છે , જે ખૂબ જ પૌષ્ટિક છે , ઓર્ગેનિક ખેતી માટે લાભદાયક હોવા ઉપરાંત ખેડૂતોને વિદેશી ફર્ટિલાઇઝરના ખર્ચામાંથી બચાવી શકે છે . ગાય - બળદના મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતું “ શિંગ ખાતર ” તો એટલું મૂલ્ય છે કે તેની કિંમત લાખોમાં આંકી શકાય ! આ ખાતર ખેતરમાં છાંટી દેવાથી જમીનની ઉર્વરા શક્તિ અનેકગણી વધી જાય છે.

ભારતના વૈજ્ઞાનિકો એ હમણાં ગાયના પંચગવ્ય અને હર્બલ ના મિશ્રણથી તૈયાર કરેલા દ્રવ્ય ના પ્રયોગો દ્વારા પ્રદૂષિત તળાવો, સરોવરો તથા નદીઓ નું પ્રદૂષણ દૂર કર્યું છે . જળ પ્રદૂષણ દૂર કરી શુદ્ધ જળ માટે આ શોધ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે છે.

ગાયની ઓરા વાતાવરણને પવિત્ર અને શુધ્ધ રાખે છે . ગાયનું સાનિધ્ય વાતાવરણની શુધ્ધતા ઉપરાંત પ્રેમ, કરૂણા, વાત્સલ્ય, દયા, મનની શાંતિ અને પવિત્રતા વધારવાનું તથા નકારાત્મક વિચારો અને વાઈબ્રેશનને રોકવાનું કાર્ય કરે છે. વ્યક્તિ, કુટુંબ, ગ્રામ, સમાજ અને વૈશ્વિક બંધુત્વની ભાવનાને સાકાર કરવાનું માધ્યમ છે ગાય, તેમ કહીએ તો ખોટું નથી !

વર્તમાનકાળમાં ગાય નું મૂલ્ય સમજવા માં આપણે થાપ ખાધી છે . ત્યારે રખડતી ગાયોના ઉપરોક્ત  ઉપયોગ દ્વારા પર્યાવરણ રક્ષા થશે , સ્વાસ્થ્ય રક્ષા થશે, જમીન રક્ષા થશે , સાથે ગૌરક્ષા  થશે .

ગાય હરતુ ફરતું ઔષધાલય છે. હરતુ ફરતુ આરોગ્ય કેન્દ્ર છે. હરતુ ફરતું દેવાલય છે. પર્યાવરણ દિન નિમિતે આપણે સૌ યથાયોગ્ય ગૌસેવાની વિવિધ પ્રવૃતિઓમાં જોડાઈ પ્રદુષણના કટુસત્યને પર્યાવરણ શુદ્ધિ માટેના સાનૂકૂળ કાર્યમાં પરિવર્તન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ .


ડો . વલ્લભભાઈ કથીરિયા

પૂર્વ ચેરમેન , રાષ્ટ્રીય કામધેનુ આયોગ ,

પૂર્વ કેન્દ્રીયમંત્રી - ભારત સરકાર.

+91 9099377577