જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૧ : ઢોર નિયંત્રણ કાયદો રદ કરવો, ગીર બરડા અને આલેચના માલધારીઓને આદિવાસીનો હક્ક યથાવત મળતો રહે, નિયમ મુજબ ૧૦૦ પશુઓએ ૪૦ એકર ગૌચરની જમીન સરકાર ફાળવે, માલધારીઓ ખેતી સાથે સંકળાયેલ હોવાથી માલધારીને ખેડૂતનો દરજ્જો મળે , સહકારી મંડળીઓમાં મતદાનનો અધિકાર મળે જેવી કુલ ૧૧ માંગણીઓ સાથે માલધારી સમાજ આંદોલન ઘણા લાંબા સમયથી કરી રહ્યો છે અને તેના ભાગ રૂપે ૨૧ સપ્ટેમ્બરએ ગુજરાતમાં દૂધ બંધનું એલાન કર્યું હતું.



માલધારી મહાપંચાયત દ્વારા ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરએ દૂધ બંધનું એલાન કરતા આજે જામનગરમાં અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ મોટા ભાગની ડેરીઓ અને દુધના સ્ટોલ, દૂધનું શેરીઓ સોસાયટીઓમાં થતું છૂટક વેચાણ સંપૂર્ણ પણે બંધ રહ્યું હતું. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ રબારી,ભરવાડ,ચારણ અને આહીર સમાજ સિવાય પણ અનેક સમાજો એ સમર્થન આપ્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લાખો લીટર દૂધનું આજે વેચાણ નથી થયું. લોકો દૂધ માટે આજે ટળવળી રહ્યા હોય એવા પણ અનેક વિસ્તારોમાં ચિત્ર ઉપસી રહ્યા છે.

લાલપુર બાયપાસથી માલધારીઓની મહારેલી !

જામનગરના લાલપુર બાયપાસથી મયુર ટાઉનશીપ બાજુ માલધારી સમાજના યુવકોએ દૂધ બંધના સમર્થનમાં મહારેલી યોજી હતી અને દૂધ બંધના સમર્થનમાં જોડાવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી.