જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લામાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ હતી, તેમાં 24 જેટલી અદાલતોમાં સમાધાન માટે 14,055થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા, જેમાં 6147 કેસોમાં સમાધાન થયું હતું, અને કુલ 32.44 લાખનું સેટલમેન્ટ થયું હતું. 

જામનગર જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ શનિવારે 2023ની પ્રથમ નેશનલ લોક અદાલત યોજાઈ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટના મેમ્બર સેક્રેટરી રાહુલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજ શ્રી વી.જી. ત્રિવેદીની અધ્યક્ષતામાં જામનગરની અદાલતમાં દીપ પ્રાગટ્ય સાથે લોક અદાલતનો પ્રારંભ થયો હતો. જેમાં અન્ય જજ, સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ મનોજભાઈ અનડકટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

જેમાં સમાધાન માટે કુલ 14,055 કેસો મુકવામાં આવ્યા હતા, જેમાં પ્રી-લીટીગેશનના 4992 અગાઉના પેન્ડિંગ 5303 કેસ જયારે સ્પેશ્યલ સીટીંગના 3760નો સમાવેશ થાય છે. જેમાં કુલ 6147 કેસમાં સમાધાન થયું હતું અને દાવાની રકમ રૂ. 32,44,09,362 રૂપિયાનું સેટલમેન્ટ થયું હતું. આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.