જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી) 

●લાખો શ્રધ્ધાળુઓનાં આસ્થાનાં કેન્દ્ર તિથૅસ્થાન બેટ-દ્રારકાનાં ઉતર દિશા અને ઈશાન કોણ તરફ સમુદ્ર જમીન ગળી રહ્યુ છે.

●બેટ-દ્રારકા ચારેય તરફ સમુદ્રથી ઘેરાયેલ એક ટાપુ છે,અહિં મોટા પ્રમાણમાં દરિયાઈ રેતી ચોરી છેલ્લા ઘણા સમય થી ચાલી રહી છે.

● સિગ્નેચર બ્રીજ બનવાથી બેટ-દ્રારકા જમીન માગૅથી જોડાઈ જવાનાં સમાચારથી રાતો રાત જમીનોનાં ભાવ આસમાને છે અને બાંધકામો વધવાથી રેતી ચોરીનું દુષણ ખુબ વધ્યું છે.

● એક તરફ સમુદ્ર આગળ વધે છે ને બીજી તરફ રેત માફીયાઓ દ્રારા રેતી ચોરી થવાથી બેટ માટે ભવિષ્યમાં ખતરો ઉભો થાય તે પહેલા જવાબદાર તંત્ર એ કુંભ કણૅની નિંદ્રા માંથી ઉઠવું પડશે !

●એક તરફ બેટ-દ્રારકાનાં વિકાસ માટે સરકાર એકાદ હજાર કરોડનાં ખચેઁ સિગ્નેચર બ્રીજ બનાવી રહી છે ત્યારે કુદરતી રીતે સમુદ્ર આગળ વધે છે તે પ્રોટેકશન વોલથી રોકવો  અને રેત માફીયાઓ ઉપર કડક પગલા ભરવા સરકારે વિચારવું પડશે !

●સ્થાનિક સરકારી તંત્રનું ભેદી મૌન બેટનાં ભવિષ્યને નૂકશાન કરે તે પહેલા જવાબદારોએ જાગવું પડશે.

● બેટનાં પદમતીથૅ પાસે વિસેક વષૅ પહેલા સમુદ્ર કિનારે પાંચ કૂવા હતા તે આજે સમુદ્રમાં ગરક થઈ ગયા છે.

● સમુદ્ર કિનારે જેમ સમુદ્ર આગળ વધે છે તેમ ગાંડા બાવળનાં થળીયાની પાળો ઉખડતી જાય છે જે સ્પષ્ટ દેખાઈ આવે છે કે સમુદ્ર આગળ વધી રહ્યો છે.

ભારતનાં ચારધામ માં એક ધામ એટલે વિશ્વ વિખ્યાત શ્રી કૃષ્ણની નગરી દ્રારકા દ્રારકામાં ભગવાન દ્રારકાધીશનું મંદિર આવેલ છે. વર્ષે અહિં લાખો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જે દ્રારકા દશૅને આવે તે યાત્રિકો દ્રારકાથી 33 કિ.મી. દૂર બેટ-દ્રારકા ભગવાન દ્રારકાધીશનાં રાણીવાસ-ઘરે દશૅન માટે આવવાનું ચુકતા નથી.

ઓખાથી બોટ દ્રારા સમુદ્ર માગેઁ બેટ- દ્રારકા જવાય છે. છેલ્લા 3-4 વષૅથી અહિં યાત્રિકો-પ્રવાસીઓ અને બેટનાં નાગરિકોની સવલત માટે એકાદ હજાર રુ. નાં ખચેઁ નમુનેદાર અને ભવ્ય સિગ્નેચર બ્રીજનું નિમૉણ કાયૅ ચાલુ છે.

સનાતન હિન્દુ ધમૅનાં સેકડો મંદિરો ઉપરાંત અહિં ઈસ્લામ ધમૅની દરગાહો અને શીખ ધમૅ નો ગુરૂદ્રારા હોવાથી ધામિઁક દ્રષ્ટિએ બેટ-દ્રારકાનું ભારતભરમાં અનેરૂ સ્થાન છે. આવા અનેકોપયોગી, બહુહેતુક અને કરોડો લોકોની આસ્થાનાં કેન્દ્ર એવા બેટ-દ્રારકાની ઉતર દિશા અને ઈશાન કોણ તરફથી ધીમી રાહે સમુદ્ર જમીનને ગળી રહ્યો છે. રેતાળ કાંઢા ઉપર ગાંડા બાવળનાં થળીયે સમુદ્ર પાણી ફરી વળતા બાવળોનાં થળ અને તેની પાળો સ્પસ્ટ દેખાઈ રહી છે. પદમતીથૅ પાસે 20 વષૅ પહેલા જે પાંચ કુવા હતા તે આજે સમુદ્રમાં ગરક થઈ ચૂકયા છે.

સમુદ્રને જમીન તરફ આગળ વધતો અટકાવવા કિનારે સંરક્ષણ દિવાલ (પ્રોટેકશન વૉલ) બનાવવી જરૂરી છે. જો કુદરતી રીતે સમુદ્રને બેટ તરફ આગળ વધતો રોકવામા નહીં આવે તો બેટની કેટલીક જમીન ખેતરોમાં સમુદ્રનું પાણી ફરી વળશે એવી સ્થિતિ દેખાઈ રહી છે !

વળી બેટ-દ્રારકાની જમીન ઉપર ધીમી ગતિએ સમુદ્ર આગળ વધવાની ઘટનાને કુદયતી માની શકાય. પરંતુ માનવીય ભૂલો એટલે કે રેત માફીયાઓ પણ બેટ માટે ખતરારૂપ છે. બેટને જમીન માગેઁ જોડાઈ જવાથી યાત્રિકો પોતાના વાહનો લઈને બેટ-દ્રારકા આવી શકશે.

જે બેટ-દ્રારકામાં જમીનો,ખેતર કે પ્લોટને કોઈ લેવા તૈયાર ન હતું ત્યાં રાતો રાત જમીનો ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ છેલ્લા 2-3 વષૅથી બેટમાં મોટા પ્રમાણમાં રહેણાંક, વાણિજય અને ધામિઁક બાંધકામો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.

આ બાંધકામોમાં રોયલ્ટી ભરેલી નદીની મીઠી રેતી બોટમાં બેટ લઈ જવી મોંઘી પડતી હોવાથી મોટા પ્રમાણમાં સમુદ્રની રેતીનો ખુલ્લે આમ ઉપયોગ થઈ રહ્યો છે. આ રેતી ચોરી બેટમાં જે સરકારી જવાબદાર તંત્ર છે તેની મીઠી નજર હેઠળ જ થઈ શકે !

હાલની સ્થિતિ જોતા જેમ સરકારે બેટમાં ગેરકાયદેસર બાંધકામોનું ડેમોલેશન કરીને ભૂમાફીયાઓને સબક શીખવાઠયો તેમ બેટનાં રેત માફીયાઓ ઉપર કડક પગલા ભરવા જોઈએ અને કુદરતી રીતે જે ઉતર દિશાથી સમુદ્ર બેટ તરફ આગળ વધે છે ત્યાં સંરક્ષણ દિવાલ બનાવવી જોઈએ.

●યાત્રાધામ બેટ દ્રારકામાં વિશ્વનું એક માત્ર પિતા પુત્ર એક સાથે એટલે કે હનુમાનજી મહારાજ  અને તેમના પુત્ર મકરધ્વજજી મહારાજનું મંદિર આવેલ છે. વષેઁ લાખો ભકતો અહિં દશૅનાથેઁ આવે છે.બેટની પષ્ચિમ દિશાએ શ્રીદ્રારકાધીશ મંદિર છે અને પૂવૅમાં આ પિતા-પુત્રનું મંદિર એટલે કે હનુમાન દાંડી આવેલ છે.

બેટનાં જ લોકો અને આગેવાનોનું કહેવું છે કે જો સમુદ્રને આગળ વધતો રોકવા સંરક્ષણ દિવાલ નહીં બને અને રેત માફીયાઓ ઉપર કડક પગલા ભરી રેતી ચોરી બંધ નહીં થાય તો આવતા અમુક વષોઁ બાદ બેટ-દ્રારકા અને હનુમાન દાંડી વચ્ચે સમુદ્રી પાણી ફરી વળશે.