જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે છ કર્મચારીઓની હાકલપટ્ટી કરાઈ છે, બેન્કના નવા બોર્ડની રચના થયે ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા જામનગર રૂરલ તેમજ જામજોધપુર શાખાનું દશેક વર્ષથી ઇન્ટર્નલ ઓડિટ બાકી હતું તે પૂર્ણ કરાવી ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવી તેમાં કસૂરવાર જણાયેલ જામજોધપુર શાખાના પાંચ કર્મચારીને ઈન્કવાયરી પૂર્ણ થયે તેમાં કસૂરવાર જણાતા અગાઉ ડિસમિસ કરવામાં આવેલ તેમજ તેઓની સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધવામાં આવેલ જેની તપાસ હાલમાં ચાલુ છે. 

આ કૌભાંડ આશરે 4.56 કરોડનું જુના વર્ષમાં થયેલ હતું તેમાં સામેલ તેમજ અન્ય ઉચાપતમાં સામેલ જે તે વખતના બ્રાન્ચ મેનેજર ડી.બી. મકવાણાને બરતરફ કરવામાં આવેલ છે. 

તેમજ જામનગર શાખાનું ઇન્ટર્નલ ઓડિટ પૂર્ણ થયે ઓડિટ રિપોર્ટમાં સામેલ બેન્ક કર્મચારી સામે ઈન્કવાયરી કરી અગાઉ તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા આ ઈન્કવાયરી રિપોર્ટ આવતા તેમાં કસૂરવાર એ.એન. ભીમજીયાણી, કે.વી. મહેરા, એમ.સી. આચાર્ય, એચ.વી. પરમારને બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કર્મચારી સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરાઈ છે જેની તપાસ હાલ ચાલુ છે. 

તેમજ જે તે સમયના જામનગર રૂરલ શાખાના બ્રાન્ચ મેનેજર પી.કે. ઠાકર સામે પણ આકરી કાર્યવાહી તોળાઈ રહી છે, તેમજ સ્વાશ્રયી સેવા સહકારી મંડળી તેમજ વિભાપર તેમજ ખીજડીયા સેવા સહકારી મંડળીના હોદેદારો સામે સીઆઈડી ક્રાઇમમાં 3.79 કરોડની ઉચાપત બાબતે કર્મચારી તેમજ મંડળીના હોદેદારો સામે બેન્ક દ્વારા અગાઉ ફરિયાદ કરવામાં આવેલ છે.