જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં રહેતા આઘેડની દીકરા તથા દીકરાની પત્નીએ જ હત્યા નિપજાવવાનું સામે આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યારા પુત્ર તથા તેની પત્નીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં હરિયા કોલેજ રોડ પર આવેલા સરદારનગર ખાતે રહેતા શંકરદાસ ભુધરદાસ બાવાજી નામના આઘેડ પુત્ર સુનિલદાસ શંકરદાસ બાવાજી, પુત્રવધુ સુનૈના સુનિલદાસ બાવાજી અને નાનો પુત્ર અનિલદાસ શંકરદાસ બાવાજી સાથે રહેતા હોય, અને પુત્ર સુનિલદાસને ચોરી કરવાની ટેવ હોય તેથી પિતા સાથે અવાર-નવાર માથાકૂટ થતી હોય અને એક બે દિવસ પહેલા જ સુનિલ કોઈ જગ્યાએ ચોરી કરી આવ્યો હોવાની શંકા જતા શંકરદાસે પુત્ર સુનિલદાસને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી શનિવાર રાત્રી દરમિયાન સુનિલદાસ અને પત્ની સુનૈનાએ શંકરદાસને ખાટલામાં બાંધી મોઢે ડૂચો બાંધી રસી વડે ગળેફાંસો દઈ હત્યા નિપજાવી પુત્ર તથા પુત્રવધુ નાશી ગયા હતા. 

આ બનાવની જાણ પોલીસને થતાં સીટી સી ડિવિઝન પોલીસ તથા એલસીબી ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.