જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના સચાણા ગ્રામ પંચાયતમાં વર્ષ 2018 થી 2021 દરમિયાન પાણી વેરાની ખોટી પહોંચો બનાવી વસુલાતનો કોઈ હિસાબો રાખવા સહિતની ગેરરીતિ આચરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે. 

સચાણાના રહેવાસી ફારૂક મહમદ સીદીક ગંઢારે ગત તા. 22.7.2022ના રોજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી કે, સચાણાના સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કક્લ તેમજ તેના પુત્ર જાકીર દ્વારા વર્ષ 2018 થી 2021 દરમિયાન પાણી વેરાની ખોટી પહોંચો આપવામાં આવી હતી અને પહોંચોની વસુલાતના કોઈપણ હિસાબો રાખવામાં આવ્યા નથી. તેમજ સરપંચ ગેર વહિવટ કરી ભ્રષ્ટચાર કરતા હોવાની રજુઆત કરતા તાલુકા વિકાસ અધિકારીએ સચાણા ગ્રામ પંચાયતની પાણી સમિતિના રેકર્ડની ખરાઈ કરતા કુલ 6 પહોંચની રકમ રૂ. 4400 ગ્રામ પંચાયતના રોજમેળમાં જમા લેવામાં આવી નહીં હોવાનું જણાયું હતું. 

આ ઉપરાંત 28 પહોંચની વિગત રોજમેળમાં લખાયેલી ન હતી. જયારે 15 પહોંચની રકમ રોજમેળમાં લખાયેલી પરંતુ તેમાં રકમ ભરનારના નામો લખવામાં આવ્યા નહીં. તેમજ ગ્રામ પંચાયતનો વેરો સભ્ય ઉપરાંત અન્ય વ્યક્તિઓએ ઉઘરાવી સરપંચ સાથે મળી નાણાકીય ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારીએ ગત તા. 23.1.23ના રોજ સચાણા ગામના સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કકલને સરપંચ તરીકે સોંપવામાં આવેલા કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને ઈરાદાપુર્વકની બેદરકારી દાખવી પ્રજા માનસ ઉપર રહેલી સરકારની સ્વચ્છ પ્રતિભાને લાંછન લગાવવાનું કૃત્ય કરવા અંગે ગુજરાત પંચાયતના અધિનિયમ અસરથી સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.