ભારતની સંસ્કૃતિએ અતિથિ દેવો ભવઃની સંસ્કૃતિ છે: ધારાસભ્ય પબુભા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આજરોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્સવપ્રિય રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક સ્થળો તથા પ્રવાસનધામો ખૂબ વિકાસ કર્યો છે. દ્વારકાની પાવન ભૂમિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ અનેક જોગવાઈઓ કરી છે.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દેશમાં અનેક સાંસ્કૃતિક સ્થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકાસવવાનું નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરીને ના માત્ર સંસ્કૃતના મહત્વને ઉજાગર કરી પણ નાના તથા મધ્યમ વર્ગીય નાગરિકો માટે આજીવિકા પૂરી પાડી છે.

કાર્યક્રમનો પ્રારંભ બોખીરાની જાણીતી ચામુંડા મહેર રાસ મંડળી દ્વારા સુંદર ઢાલ - તલવાર રાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રુપો દ્વારા સુંદર રાસ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના વિશેષ આકર્ષણ લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી દ્વારા લોકડાયરાના સુર લહેરાવીને સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય કરી દીધું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, વિગેરે સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ આ સુંદર કાર્યક્રમ નિહાળ્યો હતો.