જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે હાલ રહેતી અને અરજણભાઈ વાલજીભાઈ પરમારની પરિણીત પુત્રી નિર્મળાબેન રાહુલભાઈ ચૌહાણને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતીયા ગામે રહેતા પતિ રાહુલ જયંતીભાઈ ચૌહાણ, સસરા જયંતીભાઈ દુદાભાઈ ચૌહાણ તેમજ સાસુ કમળાબેન જયંતીભાઈ ચૌહાણ દ્વારા અવારનવાર મેણા ટોણા મારી, શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરિયાંઓ સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

દ્વારકામાં સુદામા સેતુ પાસે ઊભેલા વૃદ્ધને ઈજાગ્રસ્ત કરીને નાસી ગયેલા વાહનચાલક સામે ફરિયાદ

જામનગરના પુનિતનગર વિસ્તારમાં રહેતા કાધુભા દાનસંગભા જાડેજા નામના 71 વર્ષના ગરાસીયા વૃદ્ધ ગત તારીખ 16 મીના રોજ દ્વારકામાં સુદામા સેતુની સામે આવેલા ઢાળિયા પાસે ઉભા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક નીકળેલા એક ફોર વ્હીલર ચાલકે તેમને અડફેટે લઈ, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા અકસ્માત સર્જીને નાસી છૂટ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે સંદર્ભે પોલીસે જુદીજુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપી શખ્સની શોધખોળ હાથ ધરી છે.