જુદા જુદા માતાજી મંદિરોમાં વિશિષ્ટ દર્શનનું આયોજન

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ નોરતે વિશિષ્ટ દર્શન સહિતના આયોજનો થયા હતા.

અનુષ્ઠાનના ઐતિહાસિક અને શાસ્ત્રોત મહાત્મા સાથેના આ પર્વ એવા ચૈત્રી નવરાત્રી પ્રસંગે ખંભાળિયા શહેરમાં આવેલા ઝીલણીયા વાડી નજીકના શ્રી ગાયત્રી માતાજીના મંદિર, આ જ વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિર, ખંભાળિયામાં જલારામ ચોક નજીક આવેલા સુવિખ્યાત સિંધવી સિકોતર માતાજીના મંદિર, પુષ્કરર્ણા બ્રહ્મપુરી ખાતેના ગાયત્રી મંદિર, ઉપરાંત ઐતિહાસિક યાત્રાધામ એવા હર્ષદ માતાજી (ગાંધવી) મંદિર, વેરાડ ખાતે હિંગળાજ માતાજી, ભાણવડના ઘુમલી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજી તથા સામુદ્રી માતાજી, જોગવડ ગામ પાસે આવેલા આશાપુરા માતાજી સહિતના અનેકવિધ મંદિરોમાં આજે પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા.

નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં જોગવડ, હર્ષદ, ઘુમલી, હડીયાણા, વિગેરે ગામોમાં આવેલા પ્રાચીના અને પ્રખ્યાત એવા મંદિરોમાં નોંધપાત્ર સંખ્યામાં માતાજીના ભક્તોની ભીડ જોવા મળે છે.