વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા મહાયજ્ઞમાં ખાસ ઉપસ્થિતિ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આજરોજ સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થયું હતું. આ પ્રસંગે દ્વારકાના હેલીપેડ ખાતે સંતો ,મહંતો તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ખાસ સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં આહીર સમાજ દ્વારા યોજવામાં આવેલા વિશ્વ કલ્યાણ અર્થે શ્રી લક્ષ્મીનારાયણ નવ કુંડી મહાયજ્ઞમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અહીં પાદુકા પૂજન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરનું કાર્ય સંતો મહંતોના આશીર્વાદથી આપણે આગળ વધારીશું તેમ જણાવીને મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, તોરણીયા મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાળિયા ઠાકોરના દર્શન કરી, મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.