જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

     ખંભાળિયા નજીકના જામનગર માર્ગ પર આવેલા ટોલ નાકે ગઈકાલે સાંજે વધુ એક વખત બઘડાટી બોલી જવા પામી હતી. જોકે આ અંગે આજે સવાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

     આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી આશરે સાત કિલોમીટર દૂર જામનગર હાઈ-વે પર આવેલા ટોલ ગેઈટ પાસે ગઈકાલે રવિવારે સાંજે એક બોલેરો ચાલક તથા તેમાં સવાર મુસાફરો અને સામા પક્ષે ટોલ ગેઈટ સંચાલક સ્ટાફ વચ્ચે કોઈ બાબતે બોલાચારી થઈ હતી. જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બબાલમાં સામસામે પક્ષે મારામારી અને હાથાપાઈ પણ થઈ હતી. જેમાં કેટલાક વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

     ત્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બનાવ બનતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે આ અંગે આજે સવાર સુધી ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. ત્યારે ટોલનાકા પર થયેલી આ વધુ એક બબાલે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.