યુપીમાં અતીક અને તેના ભાઈના આતંકનો અંત: પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ગોળીબારમાં ઠાર થયો અતીક અને તેનો ભાઈ અશરફ: ત્રણ હુમલાખોરોએ બન્ને ભાઈઓ પર કર્યું સીધું ફાયરિંગ 

જામનગર મોર્નિંગ - પ્રયાગરાજ 

આખરે યુપીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના આતંકનો અંત આવ્યો છે. શનિવારે મોડી રાતે પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં તપાસ માટે લઈ જતી વખતે મીડિયાકર્મી બનીને વચ્ચે આવેલા 3 હુમલાખોરોએ ઓટોમેટિક પિસ્તોલ વડે બન્ને ભાઈઓ પર સીધું ફાયરિંગ શરુ કરી દીધું હતું જેમાં બન્ને ભાઈઓ ત્યાંને ત્યાં ઠાર થયા હતા. બન્ને ભાઈઓને હાથે હથકડી પણ લગાડેલી જોવા મળતી હતી. 

મળતી વિગત મુજબ આ હુમલો પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહેમદને લઈ જઈ રહી હતી. દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચમાં પહોંચી ગયા હતા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે. જ્યારે બંને આરોપીઓ પર ફાયરિંગ થયું ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.

અતીક અહેમદ પર ગોળી ચલાવનાર ત્રણ હુમલાખોરોની પોલીસે અટકાયત કરી છે. નવાઈની વાત તો એ છે કે, તમામ હુમલાખોરોએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રીરામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. માહિતી મળતા જ ભારે પોલીસ બંદોબસ્ત પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. ત્રણેય હુમલાખોરના ગળામાં આઈડી કાર્ડ હતા તેમજ હુમલાખોરોએ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ વિગતો છે. હત્યારાઓ મીડિયાકર્મી બનીને આવ્યાનો પણ ખુલાશો થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં જ ફાયરિંગની ઘટના બની છે

ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પહેલા યુપી એસટીએફે અતીક અહમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર કરીને તેને ઠાર માર્યો હતો. પુત્રના એન્કાઉન્ટરના એક દિવસ બાદ આજે મોડી રાતે અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 

24 ફેબ્રુઆરીના રોજ યુપીના પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઉમેશ પાલ પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. ઉમેશ જેવો તેની કારમાંથી નીચે ઊતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન, તે અને તેના એક ગનરનું ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ગનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યામાં અતિક પર ષડયંત્ર રચવાનો આરોપ છે.