જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપર ટોડા ગામમાં મામાના ઘેર રોકાવા આવેલી ભાણેજ નું શંકાસ્પદ મૃત્યુ અંગેના પ્રકરણમાં તેણીએ જાતે જ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું ખુલ્યું છે. આખો દિવસ મોબાઇલ અને ટીવીમાં વ્યસ્ત રહેતી હોવાથી પરિવારજનો એ ઘરકામ શીખવા ઠપકો આપતાં જિદ્દી સ્વભાવના કારણે આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ સુરતની વતની અને હાલ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા પોતાના મામા મહેશભાઈ મનસુખભાઈ રાબડીયાને ઘેર રોકાવા માટે આવેલી તેણીની ૧૩ વર્ષની ભાણેજ જેનીશાબેન પંકજભાઈ અભંગી, કે જેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું હતું, જે મામલે પોલીસને જાણ થતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યાં તેણીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકની માતા ઉર્મિલાબેન પંકજભાઈ નું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયા અનુસાર જેનીશાબેન કે જે આખો દિવસ મોડી રાત્રે સુધી ટીવી અને મોબાઈલ જોવામાં વ્યસ્ત રહેતી હોવાથી અને તેણીની ઉમર ૧૩ વર્ષની થઈ ગઈ હોવાથી ઘરકામ શીખવા માટે ઠપકો આપ્યો હતો. પરંતુ પોતે જીદ્દી સ્વભાવની હોવાથી અને ઘરમાં કંઈ કામકાજ કરતી ન હોવાથી આખરે તેણીએ મામાના ઘેર છતના ટૂંકમાં ચુંદડી બાંધી આત્મહત્યા કરી દીધી હતી. લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.