પરિવારજનો દ્વારા મૃત્યુ અંગે શંકા દર્શાવી મૃતદેહ ને સ્વીકારવાનો ઈન્કાર: પોલીસ તંત્ર દોડતું થયું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી હુશેની મસ્જિદમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની મીટીંગ ચાલતી હતી, જે દરમિયાન ૫૫ વર્ષના એક આધેડ સાથે બબાલ થઈ હતી, અને બે લોકોએ તેમને થપ્પડ મારતાં તેઓનું હૃદય રોગ નો હુમલો આવતાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઈ જવાયા પછી ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જે મૃત્યુ અંગે પરિવારજનોએ શંકા દર્શાવી હતી, અને મૃત્યુ નિપજ્યું હતું. અને પરિવારજનો મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરતાં ભારે દોડધામ થઈ હતી. પોલીસ તંત્ર સમગ્ર પ્રકરણમાં ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવી રહ્યું છે.
આ મામલાની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબામાં આવેલી હુસેની મસ્જિદમા સોમવારે સાંજે  પ્રમુખની આગેવાનીમાં ટ્રસ્ટી વગેરેની મીટીંગ ચાલી રહી હતી.
જે દરમિયાન જુમાભાઈ સુમારભાઈ રાજા નામના ૫૫ વર્ષના આધેડ કે જેઓ મિટિંગમાં હાજર હતા, દરમિયાન ચાલુ મિટિંગમાં બે લોકોએ આવી અને તેઓ સાથે જીભાજોડી કરી હતી, અને તેઓને ફડાકા મારી દેતાં જુમાભાઈ નીચે પડી  ગયા હતા, અને તેઓ હૃદયની બીમારી થી પીડાતા હોવાથી બેશુદ્ધ બન્યા હતા, અને તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
જેથી પરિવારજનોમાં માતમ છવાયો હતો, અને તેમના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલ ને દોડી ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સમક્ષ આ મામલામાં ગુનો દાખલ થાય ત્યાર પછી જ મૃતદેહ સ્વીકારવા જણાવ્યું હતું, જેથી ભારે હલચલ મચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.