***

કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ દ્વારકાધીશના દર્શન કરી વાવઝોડાનું સંકટ ટળે તેવી પ્રાર્થના કરી

***

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા તા. 13 જૂન

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય દ્વારકા નજીકથી પસાર થવાનું છે, ત્યારે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા આજે વહેલી સવારે દ્વારકા આવી પહોંચ્યા છે. તેઓએ આજે સવારે દ્વારકા ખાતે તહેનાત એન.ડી.આર.એફ.ની ટીમની મુલાકાત લીધી લઈ અને કરેલી કામગીરી તેમજ તેમની સાધન સજ્જતાની સમીક્ષા કરી હતી.

એન.ડી.આર.એફ.ટીમના ઇન્સ્પેક્ટરશ્રી દેવ પ્રકાશજીએ કેન્દ્રીય મંત્રીશ્રીને તેમની ટીમે કરેલી કામગીરી તેમજ સાધન સજ્જતા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા. 

આ તકે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સર્જાયેલી વવાઝોડાની સ્થિતિ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબંધિત મંત્રીશ્રીઓ તેમજ અધિકારીઓ પાસેથી વાવાઝોડા તેમજ બચાવ-રાહત અંગે આગોતરી ગોઠવાયેલી વ્યવસ્થા તેમજ કરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીશ્રી મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સીધા સંપર્કમાં છે અને ગુજરાતની સ્થિતિ અંગે પળેપળની વિગતો મેળવી રહ્યા છે. 

તેમણે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટુકડી તહેનાત થઈ ગઈ છે અને બીજી ટુકડી પણ આજ બપોર સુધીમાં આવી જશે. એસ. ડી.આર.એફ.ની ટુકડીઓ પણ તહેનાત કરાયેલી છે. 

તેઓએ કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેઓનું સ્થળાંતર કરવાનું હતું તેમાંના મોટાભાગના લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે. દ્વારકામાં સમાજના અગ્રણીઓ તથા એન.જી.ઓ. સાથે બેઠક કરી કરવામાં આવી હતી. જેમાં જરૂર પડ્યે સ્થળાંતરિત લોકોના નિવાસ માટે આશ્રયસ્થાન તરીકે સમાજની વાડીઓ ખુલ્લી મુકવા તેમજ ભોજન વ્યવસ્થા કરવા માટે સમાજના અગ્રણીઓ અને એન.જી.ઓ.એ તૈયારી દર્શાવી છે. 

કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, આપદા પ્રબંધન તંત્ર આ મુસીબતને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. 

આ પૂર્વે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ 

જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને વાવાઝોડાનું સંકટ ટળે તે માટે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી હતી. 

આ દરમિયાન દ્વારકાના પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા. 


-સંદીપ 

૦૦૦૦૦૦૦૦૦