જામનગર મોર્નિંગ - મુંબઈ  

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં શનિવારે ઉત્તરાખંડના નરેન્દ્ર નગરમાં મધ્ય ક્ષેત્રિય પરિષદની ૨૪મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે, 'બાળકોમાં કુપોષણની સમસ્યાને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે દૂર કરવી પડશે.' આ દરમિયાન મધ્ય ક્ષેત્રિય પરિષદે ચંદ્રયાન-૩ ની અદભૂત સફળતા, જી-૨૦ની સંમેનલનું સફળ આયોજન અને સંસદ દ્વારા ઐતિહાસિક મહિલા અનામત બિલ પસાર થયું તેનું પણ સ્વાગત કર્યું હતું. 

લાંબા સમયથી સહકારિતા ક્ષેત્રેમાં કામ કરનાર દિગ્ગજ નેતા અમિત શાહે હંમેશા સહકારી સંઘવાદની ભાવનાને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. અમિત શાહે હંમેશા સમસ્યાઓના નિરાકરણમાં, નાણાકીય સમાવેશને વધારવા અને નીતિમાં ફેરફાર કરવામાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે અમૃતકાળના સમયગાળા દરમિયાન શાહની નીતિઓ હેઠળ મધ્ય ક્ષેત્રિય પરિષદના રાજ્યોએ મોદીજીની ટીમ ઈન્ડિયાના કોન્સેપ્ટને અમલમાં મૂકવા માટે અભૂતપૂર્વ કામ કર્યું છે.

વાસ્તવમાં ક્ષેત્રિય પરિષદની બેઠકમાં રાજ્યોના હિત અને એકબીજા સાથેના પરસ્પર સહયોગની ચર્ચા થાય છે. આ બેઠકોમાં રાજ્યોના મૂળભૂત માળખાને ધ્યાનમાં રાખીને વિકાસ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. આ બેઠકમાં ૫ કિલોમીટરના દાયરામાં આવેલા દરેક ગામ સુધી બેંકિંગની સુવિધા, દેશમાં ૨ લાખ નવા પેક્સની રચના, રોયલ્ટી અને ખાણકામ સંબંધિત મુદ્દાઓ અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના છેલ્લા ૯ વર્ષમાં ક્ષેત્રિય પરિષદોની ૨૫ અને સ્થાયી સમિતિઓની ૨૯ બેઠકો યોજાઇ છે, જ્યારે યૂપીએના ૧૦ વર્ષમાં ક્ષેત્રિય પરિષદોની ૧૧ બેઠકો અને સ્થાયી સમિતિઓની ૧૪ બેઠકો યોજાઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આજે ક્ષેત્રિય પરિષદોની ભૂમિકા સલાહકારથી એક્શન પ્લેટફોર્મમાં બદલાઈ ગઈ છે. સમગ્ર દેશ જાણે છે કે મધ્ય ક્ષેત્રિય પરિષદમાં સામેલ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્યોનો દેશના જીડીપી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. મધ્ય ક્ષેત્રિય પરિષદમાં સામેલ રાજ્યો દેશમાં કૃષિ, પશુપાલન, અનાજ ઉત્પાદન, ખાણકામ, પાણી પુરવઠા અને પ્રવાસનનાં મુખ્ય કેન્દ્રો છે. અમિત શાહનું સ્પષ્ટપણે માનવું છે કે, આ રાજ્યો વિના પાણી પુરવઠાની કલ્પના કરી શકાતી નથી.

આ બેઠકમાં અમિત શાહે તમામ સભ્ય રાજ્યોને આહ્વાન કર્યું કે, સહકારિતા, શાળાના બાળકોનો ડ્રોપ આઉટ દર અને કુપોષણ જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતાથી કામ કરવું પડશે. બાળકોમાં કુપોષણની સમસ્યાને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે દૂર કરવાની આપણા સૌની એક જવાબદારી છે.











.