જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં આવેલી એક ખેડૂતની વાડીમાં રાખવામાં આવેલા મગફળીના ભુક્કા અને પાણીની પાઇપલાઇનને કોઈ અજાણ્યા શખ્સોએ આંગ ચાંપી સળગાવી દઇ નુકસાની પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં ભરવાડ પાડા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા ખોડાભાઈ સોંડાભાઈ ઝાપડા નામના ૫૦ વર્ષના ખેડૂત ની વાડીમાં અંદાજે ૩૦ ભારી મગફળીના ભુક્કાનો ઢગલો કરીને રાખવામાં આવ્યો હતો, જ્યારે પાણીની પ્લાસ્ટિકની પાઇપલાઇન રાખવામાં આવી હતી.

જેને ગુરુવારે રાત્રી દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ વાડીમાં પ્રવેશી આગ ચાંપી દઈ સળગાવી નાખ્યો હતો. જેથી ખેડૂતને અંદાજે રૂપિયા ૪૦ હજારનું નુકસાન થયું છે. આ બનાવ અંગે ખોડાભાઈ ભરવાડે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરોધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૩૫ મુજબ ગુનો નોંધી મગફળી નો ભુક્કો વગેરે સળગાવી નાખનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.