• કલેકટરશ્રી બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારું આયોજન અંગે બેઠક યોજાઇ

 

જામનગર તા.૮ નવેમ્બર, રાજયના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારું આયોજન અંગે જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ અભિયાનમાં વિવિધ ૧૭ જેટલી  યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ  વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ યોજનાલક્ષી હોડીંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે. શહેરીવિસ્તારમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ તથા મંજૂર કરેલી લોનનું ડીસ્બર્સમેન્ટ, મંજૂર કરેલા હપ્તાઓની સહાય વિતરણ કરાશે. આ માટે વિવિધ યોજનાઓના ફોર્મ મેળવવા કેમ્પનું આયોજન કરી કેમ્પેઇન મોડમાં કામગીરી કરવામાં આવશે.

 

જયારે ગ્રામીણ કક્ષાએ રથનું પરિભ્રમણ સાથે સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવશે.

 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી ડીડીઓશ્રી વિમલ ગઢવી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.