જામ ખંભાળિયા, તા. ૦૭-૧૧-૨૦૨૩ : દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે આ વર્ષના પારિતોષિક એનાયત કરવામાં આવશે. વર્ષ-2023 ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
      જેમાં શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા, દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ અરજી કરી શકશે.
       દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતેથી વિનામૂલ્યે મેળવી શકશે.
           અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું તબીબી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવી ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં દેવભૂમિ દ્વારકા રોજગાર વિનિમય કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે તારીખ 30 નવેમ્બર સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
             અપૂરતી વિગત વાળી, નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે અહી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.