ખંભાળિયામાં મિલકતોના કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની સત્તા બાબતનો નિર્ણય હવે રાજ્ય કક્ષાએ થશે

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

ખંભાળિયા શહેરમાં મિલકત ધરાવતા અનેક આસામીઓને ઘણા સમયથી પોતાની મિલકતનું કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળતા અંગે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલી વ્યાપક રજૂઆતો બાદ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની સત્તા નગરપાલિકાને સોંપવામાં આવવા અંગેનું જનરલ બોર્ડમાં નક્કી થયું હતું. પરંતુ આ બાબત હવે રાજ્ય સરકાર નિર્ણય લેશે તેવું ખુલતા હાલ પૂરતો પ્રશ્ન અધ્ધરતાલ બની રહ્યો છે.

ખંભાળિયા શહેરમાં નવા બાંધકામની પરવાનગી આપવાની સત્તા ખંભાળિયા વિસ્તાર સત્તા મંડળ (ખાડા)ને કેટલાક વર્ષોથી મળી છે. પરંતુ વર્ષો અગાઉ ખંભાળિયા નગરપાલિકા જ્યારે બાંધકામની પરવાનગી આપતી હતી, ત્યારે આવા બાંધકામના અનેક કમ્પ્લીશન સર્ટિફિકેટ જે-તે આસામીઓને મળ્યા નથી. આના કારણે આવા મિલકત ધારકોને બેંક લોન, સહિતની મહત્વની બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ મહત્વના પ્રશ્ન અહીંના અગ્રણી અનિલભાઈ તન્ના, દિનેશભાઈ દતાણી, પ્રતાપભાઈ દતાણી, કિશોરભાઈ દતાણી, વિગેરે દ્વારા ભાજપના આગેવાનો, રાજ્ય મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, વિગેરેને કરવામાં આવી હતી. જે પછી અહીંના જિલ્લા કલેકટર સાથે ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી.

આના સંદર્ભમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ખાસ સામાન્ય સભા યોજીને આ એક જ મુદ્દા અંગે મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં બાકી કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા માટે નક્કી કરાયું હતું. જનરલ બોર્ડનું સાહિત્ય રાજકોટ ખાતે પ્રાદેશિક નગરપાલિકા નિયામકને મોકલવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંથી આ અંગેની મંજૂરી આપી શકાતી ન હોય તેમ જણાવીને રાજ્ય સરકારના પ્રદેશ નગરપાલિકા નિયામકને આ સમગ્ર પ્રકરણ મોકલવામાં આવ્યું છે. જ્યાંથી આગળ આ બાબત શહેરી વિકાસ વિભાગમાં જશે અને ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં બાકી આસામીઓને કમ્પ્લીશન સર્ટીફીકેટ મળે તે માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી વિગેરે દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે "ખાડા" પાસે સત્તા હોવા છતાં પણ આ અંગેના નિર્ણય ના લઇને પ્રમાણપત્રો આપવામાં ન આવતા તેમજ નગરપાલિકાના કેટલાક ચીફ ઓફિસરોએ આ બાબતના પ્રમાણપત્ર આપેલા હોય અને કેટલાક આસામી બાકી રહી જતા આ મુદ્દે અનેક મિલકત ધારકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.