ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો: લોકોના ટોળા એકઠા થયા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં કાલાવડ નાકા બહાર બેઠા પૂલની નીચે પાણીના ભાગમાંથી સોમવારે સાંજે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. ફાયર બ્રિગેડની ટુકડીએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સમયે લોકોના ટોળા થયા હતા. 

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર જુના બેઠા પુલની નીચે એક માનવ મૃતદેહ તરતો હોવાની માહિતી મળતાં લોકોના ટોળા એકઠા થયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં સૌપ્રથમ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને બહાર કાઢ્યો હતો, અને ત્યાં હાજર થઈ ગયેલા સીટી એ ડિવિઝનના પોલીસ સ્ટાફને સુપ્રત કરી દીધો હતો.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઉંમર ૫૦થી ૫૫ વર્ષની હોવાનું અને તેણે કાળા કલરનું પેન્ટ અને બ્લુ અને લીલી ચોકડી વાળી ડિઝાઇન વાળો આખી બાયનો શર્ટ પહેરેલા છે, અને સફેદ આછી દાઢી  છે. જેની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.